ગુજરાતના નવાગામમાં જન્મેલા અને હાલ લંડનના નોર્થ વેમ્બલીમાં સ્થાયી થયેલા ડાહીબેન જીવરાજ શાહના 111મા જન્મદિવસ પ્રસંગે તા. 19 ફેબ્રુઆરીના રોજ મહારાજા કિંગ ચાર્લ્સ ત્રીજા અને રાણી કેમિલા તરફથી જન્મ દિવસ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવતું કાર્ડ મોકલી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ડાહીબા સંભવત: બ્રિટનના સૌથી વયોવૃધ્ધ વ્યક્તિ હોવાનું મનાય છે.
બીજી તરફ સમગ્ર ભારતમાં જરૂરિયાતમંદ બાળકોને ગરમ ભોજન પહોંચાડતી હોપ ફોર સ્માઇલ ટીમે લગભગ 250 વંચિત બાળકોને પૌષ્ટિક ભોજન પૂરું પાડીને ઉજવણી કરી હતી. પૂ. ડાહીબાએ માત્ર ઉંમરની મર્યાદાઓને જ નહીં પરંતુ જીવનશક્તિ અને કૃપાના સારને પણ મૂર્તિમંત બનાવ્યા છે.
19 ફેબ્રુઆરી 1915ના રોજ ગુજરાતના નવાગામમાં રહેતા લીલાબેન અને સુરાભાઈ પરબત શાહને ત્યાં જન્મેલા ડાહીબેન 4 બહેનો અને 2 ભાઈઓના પરિવારમાં સૌથી મોટા હતા. પરંતુ દુઃખની વાત એ હતી કે તેમના બધા ભાઈ-બહેનોનું અવસાન થયું છે. તેમની માતા લીલાબેન લગભગ અંધ હોવાથી ખૂબ જ નાની ઉંમરથી ડાહીબેને ઘર ચલાવવાની અને તેમના ભાઈ-બહેનોની સંભાળ રાખવાની જવાબદારી સંભાળી હતી.
માત્ર 13 વર્ષની ઉંમરે, તેમણે જીવરાજ કરમશી શાહ સાથે લગ્ન કર્યા હતા અને કેન્યાના નૈરોબી ગયા હતા. જ્યાં તેમણે ત્રણ પુત્રો – જયંતીભાઈ, રસિકભાઈ અને સ્વર્ગસ્થ દિનેશભાઈ અને બે પુત્રીઓ, રમાબેન અને જયાબેનને જન્મ આપ્યો હતો અને સુદર રીતે ઉછેર કર્યો હતો. 1973માં તેઓ પોતાના પરિવાર સાથે યુકે આવ્યા હતા અને લંડનના નોર્થ વેમ્બલીમાં સ્થાયી થયા હતા અને સમર્પણ, સંભાળ અને સમુદાય ભાવનાને મૂર્તિમંત કરતા રહ્યા હતા.
ડાહીબાનું લાંબુ જીવન સખત મહેનત, અનુકૂલનશીલતા અને પરિવાર પ્રત્યેની પ્રતિબદ્ધતા દ્વારા ચિહ્નિત થયેલ છે. ઔપચારિક શિક્ષણ અને વાંચવા કે લખવામાં અસમર્થ હોવા છતાં, ડાહીબેને ઘર ચલાવવાથી લઇને સીવણ, ગૂંથણકામ, બાગકામ અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં હરવા ફરવાની નિપુણતા મેળવી હતી અને પોતાના બાળકો અને પૌત્ર-પૌત્રીઓને સહાય પૂરી પાડી હતી..
111 વર્ષની ઉંમરે પહોંચેલા ડાહીબા ઉંમર વધવાને કારણે પથારીવશ છે અને વધુ વાતચીત કરી શકતા નથી. આજે પણ પોતાના ઘરે સૂર્યાબેન જયંતિલાલ શાહ (પુત્રવધૂ) અને પુત્ર જયંતિલાલભાઈ જીવરાજ શાહ 111 વર્ષના ડાહીબા પોતાની સાથે હોવાના આનંદ સાથે પરિવાર દ્વારા તેમની સંભાળ રાખવામાં આવી રહી છે.
આજે ડાહીબા પોતાના આઠ પૌત્ર-પૌત્રી, 16 પ્રપૌત્ર-પ્રપૌત્રી અને એક પ્ર-પ્ર-પૌત્રી સાથે હર્યોભર્યો ઘરસંસાર ધરાવે છે અને સૌ પરિવારજનોએ 19 ફેબ્રુઆરીના રોજ તેમની કાયમી હાજરી અને પ્રભાવ સાથે 111મા જન્મ દિવસની ઉજવણી કરી હતી.













