રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ કમિશનર મિશેલ ડુહેમ (Photo by Andrew Harnik/Getty Images)

કેનેડાના પોલીસ વડાએ શુક્રવાર, 20 માર્ચે જણાવ્યું છે કે કેનેડામાં હવે એવી કોઈ ગુપ્ત પ્રવૃત્તિઓ કે આંતરરાષ્ટ્રીય દમન થઈ રહ્યું નથી જે ભારત સરકાર સાથે જોડાયેલું હોય. પોલીસ પાસે હાલમાં જે ગુનાહિત માહિતી અને તપાસ ચાલી રહી છે તેના આધારે, પોલીસને હાલમાં કોઈ વિદેશી એન્ટિટી સાથે કોઈ જોડાણ દેખાતું નથી.

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) કમિશનર માઇક ડુહેમે CTV ન્યૂઝ સાથેના ઇન્ટરવ્યૂમાં આ ટિપ્પણીઓ કરી હતી. ભારત સરકારના એજન્ટો હવે પણ કેનેડામાં ચિંતાનું કારણ છે કે નહીં તેવા સવાલના જવાબમાં તેમણે આ માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે વિદેશી હસ્તક્ષેપ અથવા આંતરરાષ્ટ્રીય દમન અંગે આપણી પાસે જે ફાઇલો છે તેના સંપૂર્ણ આધારે અમે માનીએ છીએ કે એવા કેટલાંક લોકો છે જે લોકોને ધાકધમકી આપીને ડરાવી રહ્યાં છે, પરંતુ વિદેશી એન્ટિટી સાથે કડીઓ જોડાતી નથી.

અહીં ઉલ્લેખનીય છે કે 2023માં તત્કાલીન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણીના આરોપો મૂક્યા હતાં અને તેનાથી બંને દેશો વચ્ચેના સંબંધો કથળ્યાં છે. તેથી કેનેડાના પોલીસ વડાની આ ટીપ્પણીનું વિશેષ મહત્ત્વ છે. ઓક્ટોબર 2024માં કનેડાએ આ કેસમાં ભારતીય રાજદૂતોને જોડવાનો પ્રયાસ કર્યો બાદ ભારતે પોતાના હાઈ કમિશનર સહિત પાંચ રાજદૂતોને પરત બોલાવ્યા હતા અને જવાબમાં કનેડાના રાજદૂતોને પણ બહાર કાઢ્યા હતા