અમેરિકાના સંસદસભ્ય ગ્રેગ લેન્ડ્સમેને 1971માં બંગાળી હિંદુઓ સામે પાકિસ્તાને કરેલા અત્યાચારને “નરસંહાર” તરીકે જાહેર કરવા માટે અમેરિકાની પ્રતિનિધિગૃહમાં એક ઠરાવ રજૂ કર્યો હતો. ઓહાયોના ડેમોક્રેટ સભ્યે શુક્રવારે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને હવે વિદેશ મામલાઓની સમિતિને મોકલવામાં આવ્યો છે.
ઠરાવમાં જણાવાયું છે કે 25 માર્ચ, 1971ની રાત્રે પાકિસ્તાન સરકારે શેખ મુજીબુર રહેમાનને કેદ કર્યા હતાં અને ત્યારબાદ તેની આર્મીએ જમાતે ઇસ્લામીથી પ્રેરિત કટ્ટરપંથી જૂથો સાથે મળીને “ઓપરેશન સર્ચલાઇટ” નામે પૂર્વ પાકિસ્તાન (આજનું બાંગ્લાદેશ)માં વ્યાપક દમન અને નરસંહાર શરૂ કર્યો હતો.
પ્રસ્તાવ મુજબ, 28 માર્ચ, 1971ના રોજ ઢાકામાં સ્થિત અમેરિકાના કાઉન્સુલ જનરલ આર્ચર બ્લડે વોશિંગ્ટનને “સિલેક્ટિવ જિનોસાઇડ” શીર્ષકવાળો ટેલિગ્રામ મોકલ્યો હતો. લેન્ડ્સમેને વધુમાં નોંધ્યું હતું કે 6 એપ્રિલ, 1971ના રોજ “બ્લૂડ ટેલિગ્રામ” તરીકે જાણીતા સંદેશમાં આર્ચર બ્લડે અને તેમના 20 સહકર્મચારીઓએ અમેરિકી સરકારની ચુપકીદી સામે વિરોધ નોંધાવ્યો હતો.
આ ઠરાવમાં પ્રતિનિધિગૃહને અપીલ કરવામાં આવી છે કે 25 માર્ચ, 1971ના રોજ પાકિસ્તાની સશસ્ત્ર દળોએ બાંગ્લાદેશના લોકો સામે કરેલા અત્યાચારની નિંદા કરવામાં આવે. પાકિસ્તાની સેનાએ અને તેના ઇસ્લામિક સાથીઓએ ધર્મ કે લિંગનો ભેદ રાખ્યા વિના બંગાળીઓનો મોટા પાયે નરસંહાર કર્યો હતો. ખાસ કરીને ધાર્મિક લઘુમતી હિંદુઓને નિશાન બનાવી તેમની સામૂહિક હત્યા, ગેંગરેપ, બળજબરીથી ધર્મપરિવર્તન અને સ્થળાંતર કરાવવામાં આવ્યા હતાં














