અમેરિકાએ LEMOA કરાર હેઠળ ઈરાન પર હુમલા માટે ભારતની જમીનનો ઉપયોગ કરવાની મંજૂરી માંગી હોવાના સોશિયલ મીડિયાના દાવાને કેન્દ્ર સરકારે શનિવારે ફગાવી દીધો હતો. સરકારે તેને સોશિયલ મીડિયાની કોઇ આધાર વગર ખોટી અને ફેક માહિતી ગણાવી હતી.
વિદેશ મંત્રાલયે નાગરિકોને ખોટી માહિતી સામે ચેતવણી આપતા X પરની એક જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર આવા ખોટા અને પાયાવિહોણા દાવાઓ અને પોસ્ટ્સ સામે લોકોએ સાવધ રહેવું જોઇએ. આવા દાવા કોઇ તથ્ય વગરના છે અને જનતાએ ખાસ કરીને સંવેદનશીલ ભૂ-રાજકીય ગતિવિધિ અંગે વણચકાસાયેલ સામગ્રીનો ફેલાવો ન કરવો જોઇએ.
ભારત અને અમેરિકા વચ્ચે 2016માં થયેલો લોજિસ્ટિક્સ એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (LEMOA) બંને દેશોને એકબીજાની સૈન્ય સુવિધાઓનો ઉપયોગ ફક્ત લોજિસ્ટિક સપોર્ટ (જેમ કે ઇંધણ ભરાવવું, મરામત) માટે કરવાની મંજૂરી આપે છે, પરંતુ આ કરાર હેઠળ કોઈપણ દેશ બીજા દેશની જમીન પરથી સૈન્ય હુમલો કરી શકતો નથી.
તાજેતરમાં અમેરિકાએ શ્રીલંકાના દરિયાકાંઠા નજીક ઈરાની યુદ્ધજહાજને નિશાન બનાવ્યાની ઘટના પછી સોશિયલ મીડિયામાં આવી અટકળોને વેગ મળ્યો હતો, પરંતુ નવી દિલ્હીએ સ્પષ્ટ કર્યું હતું કે આવા કોઈ હુમલામાં ભારતની કોઈ ભૂમિકા નહોતી અને ભારતના બંદરો અથવા સુવિધાઓનો ઉપયોગ થયો નથી. અગાઉ પણ એવો દાવો કરાયો હતો કે અમેરિકાએ ભારતના પોર્ટ અને એરસ્પેસનો ઉપયોગ કર્યો હતો. જોકે તે સમયે પણ સરકારે આવા દાવાને ફગાવી દઇને તેને ખોટા અને ફેક ગણાવ્યાં હતાં.
28 ફેબ્રુઆરીએ ઇઝરાયેલ અને અમેરિકાએ ઇરાન પર હવાઈ હુમલા ચાલુ કર્યા પછી મધ્યપૂર્વમાં સંઘર્ષ ચાલે છે.













