Photo - Reutors

નોર્થ વેસ્ટ લંડનમાં ગોલ્ડર્સ ગ્રીનના હાઇફિલ્ડ રોડ પર જ્યુઇશ વોલંટીયરી ઇનરજન્સી સેવા  ‘હાત્ઝોલા’ની પાર્ક કરાયેલી ચાર એમ્બ્યુલન્સને રવિવાર, તા. 12ની મધરાત્રે સળગાવી દેવામાં આવતા સમગ્ર બ્રિટનમાં વ્યાપક રોષ ફેલાયો છે. પોલીસ અધિકારીઓ આ બનાવને ગંભીર એન્ટી સેમેટિક હુમલા તરીકે ગણી રહ્યા છે અને હુમલાની તપાસ આતંકવાદ વિરોધી પોલીસ કરી રહી છે. બનાવની યુકેના તમામ રાજકીય અને સામાજીક નેતાઓ દ્વારા વ્યાપક નિંદા કરવામાં આવી છે.

પોલીસે આ તબક્કે બનાવને આતંકવાદી ઘટના જાહેર કરી નથી પણ ઈરાન-સંબંધિત જૂથ, ‘હરકત અશબ અલ-યામીન અલ-ઇસ્લામીયા’એ વહેલી સવારે તેની ટેલિગ્રામ ચેનલ પર હુમલો કરાવ્યો હોવાની જવાબદારી લીઘી હતી. જો કે પોલીસ ઓનલાઈન દાવાઓની તપાસ કરી રહી છે.

હાત્ઝોલા દ્વારા સંચાલિત વાહનોને લગભગ 1.45 વાગ્યે ઇરાદાપૂર્વક આગ લગાવવામાં આવી હતી. મેટ્રોપોલિટન પોલીસે પુષ્ટિ આપી છે કે સીસીટીવી ફૂટેજમાં હુમલામાં ત્રણ વ્યક્તિઓ સામેલ હોવાનું દર્શાવવામાં આવ્યું છે, અને હવે તેમની શોધખોળ ચાલી રહી છે. હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

ઇમરજન્સી સેવાઓ અને લંડન ફાયર બ્રિગેડને ઝડપથી ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી, જ્યાં એમ્બ્યુલન્સની અંદર સંગ્રહ કરાયેલા ગેસ કેનિસ્ટરને કારણે અનેક વિસ્ફોટો થયા હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે નજીકના ફ્લેટની બારીઓ તૂટી ગઈ હતી.

સાવચેતી તરીકે, નજીકના ઘરો ખાલી કરાવવામાં આવ્યા હતા અને રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા અને ફાયરફાઇટરોએ આગને કાબૂમાં લીઘી હતી. કોઈ જાનહાની કે ઇજાના અહેવાલ નથી.

વડા પ્રધાન કેર સ્ટાર્મરે આ ઘટનાને “ખૂબ જ આઘાતજનક યહૂદી વિરોધી આગચંપી અને હુમલો” ગણાવ્યો હતો. તેમણે યહૂદી સમુદાય સાથે એકતા વ્યક્ત કરી કહ્યું હતુ કે ‘’આપણા સમાજમાં યહૂદી વિરોધીવાદનું કોઈ સ્થાન નથી અને માહિતી ધરાવતા કોઈપણ વ્યક્તિને પોલીસ તપાસમાં મદદ કરવા વિનંતી કરૂ છું. આવી ક્ષણે આપણે બધા એક સાથે ઊભા રહેવું ખરેખર મહત્વપૂર્ણ છે”

હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટીંગ કહ્યું હતું કે ‘’ ‘હાત્ઝોલા’ ચેરિટીને રિપ્લેસમેન્ટ એમ્બ્યુલન્સીસ લોન પર આપવામાં આવશે, અને સરકાર કાયમી રિપ્લેસમેન્ટ માટે પણ ભંડોળ પૂરું પાડશે.’’

બનાવ બાદ બોર્ડ ઓફ ડેપ્યુટીઝ ઓફ બ્રિટિશ જ્યુઇશના ચીફ એક્ઝિક્યુટિવ, માઈકલ વેગિયર, જ્યુઇશ લીડરશીપ કાઉન્સિલના અધ્યક્ષ કીથ બ્લેક અને યુનિયન ઓફ જ્યુઇશ સ્ટુડન્ટ્સ (UJS) ના પ્રમુખ લુઇસ ડેન્કર ડાઉનિંગ સ્ટ્રીટમાં વડા પ્રધાન કેર સ્ટાર્મરને મળ્યા હતા.

આ હુમલા અંગે ધાર્મિક નેતાઓ તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી છે. મુખ્ય રબ્બાઇ એફ્રાઈમ મિરવિસે હાત્ઝોલાને નિશાન બનાવવાની ઘટનાને “ખાસ કરીને બીમાર” ગણાવી ભાર મૂક્યો હતો કે સંસ્થા તમામ પૃષ્ઠભૂમિના લોકોને જીવન બચાવતી ઇમરજન્સી તબીબી સંભાળ પૂરી પાડે છે. તેમણે આ ઘટનાને માત્ર યહૂદી સમુદાય પર જ નહીં પરંતુ સમાજના વ્યાપક મૂલ્યો પર હુમલો ગણાવ્યો હતો.

1979માં સ્થાપિત હાત્ઝોલા, સ્વયંસેવકો દ્વારા સંચાલિત ઇમરજન્સી સેવા છે જે નોર્થ લંડનમાં મફત મેડિકલ રીસ્પોન્સ અને ટ્રાન્સપોર્ટ સેવા આપે છે. આગને કારણે થયેલા નુકસાન છતાં, કોમ્યુનીટી સેફ્ટી ગૃપ ‘શોમરીમે’ પુષ્ટિ આપી હતી કે હાત્ઝોલાની સેવા સંપૂર્ણપણે કાર્યરત છે અને ખાતરી કરી છે કે તેની ઇમરજન્સી સેવા – સંભાળ કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રહે.

સ્થાનિક પોલીસ કમાન્ડર સુપરિન્ટેન્ડેન્ટ સારાહ જેક્સને જણાવ્યું હતું કે અધિકારીઓ તાત્કાલિક પૂછપરછ કરી રહ્યા છે, જેમાં સીસીટીવી અને ઓનલાઈન ફૂટેજની સમીક્ષાનો સમાવેશ થાય છે. તેણીએ સ્વીકાર્યું કે આ ઘટનાએ સમુદાયમાં “નોંધપાત્ર ચિંતા” પેદા કરી છે અને પુષ્ટિ આપી હતી કે આશ્વાસન અને પોલીસની સ્પષ્ટ હાજરી પૂરી પાડવા માટે વધારાનું પેટ્રોલિંગ તૈનાત કરવામાં આવ્યું છે.

લંડનના મેયર સાદિક ખાને આ હુમલાને “કાયર” ગણાવ્યો હતો અને ભાર મૂક્યો હતો કે લંડનવાસીઓ “આ પ્રકારના દ્વેષ અને ધાકધમકીથી ક્યારેય ડરશે નહીં.” તેમણે નફરતના ગુનાઓ સામે એકતા સાધવાની શહેરની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

લંડનમાં ઇઝરાયેલી દૂતાવાસે પણ એક કડક નિવેદન જારી કરીને ચેતવણી આપી હતી કે આવી ઘટનાઓ યહૂદી-વિરોધમાં વ્યાપક વધારો દર્શાવે છે અને વધુ વકરી ન શકે તે માટે નિર્ણાયક પગલાં લેવા હાકલ કરી છે.

રાજધાનીમાં નફરતના ગુનાઓ, ખાસ કરીને ધાર્મિક સમુદાયોને લક્ષ્ય બનાવતા ગુનાઓ અંગે વધતી ચિંતાઓ વચ્ચે આ હુમલો થયો છે. પોલીસે સાક્ષીઓ અથવા માહિતી ધરાવતા લોકોને આગળ આવવા વિનંતી કરી છે.

જવાબદારો લોકોને ઓળખવા અને પકડવાના પ્રયાસો ચાલુ છે અને પોલીસ અધિકારીઓ હુમલાના સંપૂર્ણ સંજોગો સ્થાપિત કરવા અને ગુનેગારોને ન્યાય અપાવવા માટે કામ કરી રહ્યા છે.