(PTI Photo)

જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે બે લાખ સભ્યો સાથેની ‘ચતુરંગિણી સેના’ બનાવવાની જાહેરાત કરી હતી. ઉત્તરપ્રદેશના વારાણસીમાં તેમણે કહ્યું હતું કે પરંપરાગત અને આધુનિક શસ્ત્રોથી સજ્જ આ ‘સેના’ ગૌવંશ અને હિન્દુ ધર્મનું રક્ષણ કરશે. આ ‘સેના’માં હિન્દુ ધર્મની તમામ જાતિઓના 2,18,000 સૈનિકો હશે, જેમાં પુરુષો, સ્ત્રીઓ અને ત્રીજા લિંગના સૈનિકો હશે.

અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું હતું કે આ ‘સેના’ આગામી વર્ષે ફેબ્રુઆરીમાં મૌની અમાવસ્યાના પ્રસંગે પ્રયાગરાજમાં શરૂ કરાશે. તેને ‘ચતુરંગિની સેના’ કહેવામાં આવશે. ‘ચતુરંગિની સેના’ એવી કોઈપણ સેનાનો ઉલ્લેખ કરે છે, જેમાં પાયદળ, ઘોડેસવાર, હાથી અને રથ હોય. મહાભારતમાં ચતુરંગિની સેનાનો ઉલ્લેખ છે. સંતો અને સમર્થકોથી ઘેરાયેલા તેમણે કહ્યું હતું કે આ ‘સેના’ ધર્મ, સંસ્કૃતિ અને સમાજનું રક્ષણ કરશે. નવી ‘સેના’ પાસે પરંપરાગત અને અત્યાધુનિક શસ્ત્રો હશે.

યુપી સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ ‘સેના’ બનાવવા અંગે આ ધાર્મિક નેતાની જાહેરાતો પર બારીક નજર રાખી રહ્યા છે. લાઇસન્સ વિનાના શસ્ત્રો રાખવા અને જાહેરમાં તેને લહેરાવવાથી કાનૂની કાર્યવાહી થઈ શકે છે.ગયા મહિને, પ્રયાગરાજમાં માઘ મેળા દરમિયાન પાલખીમાં સંગમમાં જવાની મંજૂરી ન મળતાં તેમણે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ટીકા કરી હતી. આ પછી યોગીએ કહ્યું હતું કે લોકોએ રામાયણના પૌરાણિક પાત્ર કાલનેમીને ઓળખવી જોઈએ, જે એક રાક્ષસ હતો. પરંતુ ઋષિના વેશમાં હતો. આ ટિપ્પણીને આદિત્યનાથના શંકરાચાર્ય પરના પ્રહાર તરીકે જોવામાં આવી હતી.

શંકરાચાર્યએ ભારપૂર્વક જણાવ્યું હતું કે જો સરકાર નાગરિકોની સુરક્ષા કરવામાં નિષ્ફળ જાય, તો લોકોને આત્મરક્ષણનો અધિકાર મળવો જોઈએ. તેમણે મથુરામાં સંતની હત્યા અને ગૌરક્ષકો પર થતા હુમલાઓનો ઉલ્લેખ કરી ઉત્તર પ્રદેશની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.