પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વચ્ચે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મંગળવાર, 24 માર્ચે ફોન પર વાતચીત થઈ હતી.બંને નેતાઓએ મધ્ય પૂર્વની ગતિવિધિ પર ચર્ચાવિચારણા કરી હતી, જેમાં હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લી રાખવાના મહત્વનો પણ સમાવેશ થાય છે, એમ ભારત ખાતેના અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું હતું.
ઇરાન સામે 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઇઝરાયેલે આક્રમણ કર્યા પછી બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ વાતચીત હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ ટ્રમ્પનો ફોન આવ્યો હતો અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર ઉપયોગી વિચારોનું આદાન-પ્રદાન થયું હતું. ભારત શક્ય તેટલી વહેલી તકે તણાવ ઓછો કરવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવાનું સમર્થન કરે છે. હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લી, સુરક્ષિત અને સુલભ રહે તે સુનિશ્ચિત કરવું વિશ્વ માટે જરૂરી છે. અમે શાંતિ અને સ્થિરતા માટેના પ્રયાસો માટે સંપર્કમાં રહેવા સંમત થયા હતાં.
અમેરિકાના પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે પાંચ દિવસ સુધી ઇરાનની પાવરગ્રીડ પર હુમલા ન કરવાની સોમવારે જાહેરાત તે પછી મોદી સાથે આ વાતચીત કરી હતી. અગાઉ પશ્ચિમ એશિયામાં સંઘર્ષનો ઉકેલ આવવાનો સંકેત આપતા ટ્રમ્પે સોમવારે જણાવ્યું હતું કે ઇરાન સાથે ફળદ્રુપ વાતચીત પછી તેમણે ઈરાની પાવર પ્લાન્ટ અને ઉર્જા માળખા પરના હુમલા પાંચ દિવસ સુધી મુલતવી રાખવાનો યુએસ મિલિટરીને આદેશ આપ્યો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો થઈ છે, જેમાં બંને પક્ષો વચ્ચે મુખ્ય મુદ્દાઓ પર સંમતિ સધાઈ છે. યુદ્ધનો ઉકેલ લાવવા માટે ટૂંક સમયમાં એક સોદો થઈ શકે છે. તેમના મધ્ય પૂર્વના રાજદૂત સ્ટીવ વિટકોફ અને નજીકના સહાયક અને જમાઈ જેરેડ કુશનરે રવિવારે ઈરાની અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને ચર્ચા ચાલુ રહેશે. હું ફક્ત એટલું જ કહી રહ્યો છું કે આપણે સોદો કરવાની વાસ્તવિક શક્યતાના આરે છીએ.














