સની દેઓલ
(ANI Video Grab)

બોલીવૂડના પીઢ અભિનેતા સની દેઓલની બોર્ડર 2 પછી હવે આ વર્ષમાં એક પછી એક પાંચ ફિલ્મો રીલીઝ થશે, જેમાં લાહોર 1947 અને રામાયણનો પણ સમાવેશ થાય છે. આ વર્ષે સની દેઓલ સાથે સલમાન ખાન અને આમિર ખાનની પણ ફિલ્મો આવી રહી છે, છતાં નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે, દર્શકો એક જ અભિનેતાને વારંવાર જોઈને કંટાળશે. ફેબ્રુઆરીમાં બોર્ડર 2ના બોક્સ ઓફિસ પરના બિઝનેસ પછી સની દેઓલ એક અનોખા સમયગાળાની તૈયારી કરી રહ્યો છે. તેની ચાર ફિલ્મો ઉનાળા પછી રિલીઝ થશે.

23 જાન્યુઆરીએ રિલીઝ થયેલી બોર્ડર 2 પહેલેથી જ 300 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે. ગદર 2થી શરૂ થયેલી તેની સેકન્ડ ઇનિંગ્સમાં, ટ્રેડ વિશ્લેષકો માને છે કે સની દેઓલ આ તકનો યોગ્ય ઉપયોગ કરી રહ્યો છે. તેની પાસે બિગબજેટ ધરાવતી પૌરાણિક મહાકાવ્ય-રામાયણ આધારિત ફિલ્મથી લઈને વ્યક્તિગત ભૂમિકા ભજવતી વિવિધ પ્રકારની ફિલ્મો છે.

શશાંક ઉદાપુરકર દિગ્દર્શિત ગાબરુ ફિલ્મ 8 મેના રોજ થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં સની દેઓલની અલગ પ્રકારની ભૂમિકા છે. આ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ, ‘સની દેઓલ માટે પાંચ જાહેર થયેલી રિલીઝ સાથે આ સોનેરી વર્ષ છે. દરેક ફિલ્મ અલગ પ્રકારની છે, પરંતુ શું દર્શકો એક જ સમયે તેની એટલી બધી ફિલ્મો સ્વીકારી શકશે તેની બોલીવૂડમાં ચર્ચા થઇ રહી છે.

કેટલીક ફિલ્મોની તારીખોમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. જોકે, ગબરુને શરૂઆતમાં સીધી ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાની યોજના હતી, પરંતુ હવે 8 મેના રોજ થિયેટરમાં આવશે. આ ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો પણ છે. સની મધ્યમ વર્ગીય પરિવારના પુરુષની ભૂમિકા ભજવે છે, જે માનવ સેવા દ્વારા પોતાના જીવનનો બાકીનો સમય અર્થપૂર્ણ બનાવવાની ઇચ્છા રાખે છે.’

ત્યાર પછી સનીને ડિજિટલ પ્લેટફોર્મ પર પદાર્પણ કરાવનાર ફિલ્મ ઈક્કા રજૂ થશે. જુનમાં નેટફ્લિક્સ પર પ્રીમિયર થનારી આ હાઇ-સ્ટેક્સ કોર્ટરૂમ થ્રિલરમાં અક્ષય ખન્ના સાથે ફરી જોવા મળશે. ફિલ્મના નિર્માતા દીપક મુકુટના જણાવ્યા અનુસાર, “ફિલ્મ પૂર્ણ થઈ ગઈ છે. હવે તે પોસ્ટ-પ્રોડક્શન તબક્કામાં છે. તે પૂર્ણ થયા પછી અમે રિલીઝ તારીખ નક્કી કરીશું. અમે જુન અથવા જુલાઈમાં સારો સમય જોઈ રહ્યા છીએ.”

13 ઓગસ્ટે, સ્વતંત્રતા દિવસ નિમિત્તે લાહોર 1947 થીયેટરમાં આવશે. જાણીતા નાટક જિસ લાહોર નઈ દેખ્યા… પરથી આધારિત આ પીરિયડ ડ્રામા ફિલ્મ આમિર ખાન દ્વારા પ્રોડ્યુસ અને રાજકુમાર સંતોષી દ્વારા દિગ્દર્શિત છે. નવેમ્બરમાં નિતેશ તિવારીની રામાયણ રિલીઝ થશે, જે વર્ષનો અંત કરશે. આ પૌરાણિક મહાકાવ્યમાં સની ભગવાન હનુમાનની ભૂમિકામાં, રણબીર કપૂર અને સાઈ પલ્લવી સાથે જોવા મળશે.

ઈક્કામાં વકીલથી લઈને રામાયણમાં હનુમાનનાં પાત્ર સુધી, સનની ભૂમિકાઓ દર્શકોને આકર્ષી શકે છે, છતાં બોલીવૂડમાં તેની મોટા પડદે સતત હાજરીને કારણે “ઓડિયન્સ ફેટીગ” અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે સની દેઓલની 2026ની સ્ટ્રેટેજી મોટા પ્રમાણમાં કોલોબરેશન પર આધારિત છે. ગબરુમાં સલમાન ખાનનો વિસ્તૃત કેમિયો છે, જ્યારે લાહોર 1947માં તેને આમિર ખાન પ્રોડક્શન્સનું સમર્થન મળ્યું છે, જેના કારણે બંને પ્રોજેક્ટ્સને વધુ લોકો સુધી પહોંચે એવું માર્કેટિંગ મળશે તેની ખાતરી છે, સાથે જ રામાયણ અંગે પણ અત્યારથી જ ઉત્સુકતાનો માહોલ છે.