
ભારતની લો-કોસ્ટ એરલાઇન ઇન્ડિગોએ મંગળવારે બ્રિટિશ એરવેઝના ભૂતપૂર્વ વડા વિલિયમ વોલ્શને તેના સીઈઓ તરીકે નિયુક્ત કર્યા હતાં. ઇન્ડિગોના સીઈઓ પીટર એલ્બર્સે અચાનક રાજીનામું આપ્યાના ત્રણ અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં આ જાહેરાત કરાઈ હતી.
વિલી તરીકે જાણીતા અને એરલાઇન ઇન્ડસ્ટીના અનુભવી વોલ્શ હાલમાં ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA)ના ડાયરેક્ટર જનરલ છે. IATA ખાતે તેમનો કાર્યકાળ 31 જુલાઈના રોજ સમાપ્ત થાય છે, અને તેઓ 3 ઓગસ્ટ સુધીમાં જોડાય તેવી અપેક્ષા છે.
આશરે 64 ટકા બજારહિસ્સા સાથે ઇન્ડિગો ઇન્ડિગો ભારતની સૌથી મોટી એરલાઇન છે. ડિસેમ્બરના અંત સુધીમાં 440 વિમાનોનો કાફલો હતો. તે 95 સ્થાનિક અને 40થી વધુ આંતરરાષ્ટ્રીય સ્થળોને જોડતી 2,200થી વધુ દૈનિક ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.
ઇન્ડિગોના સીઈઓ તરીકેની તેમની નવી ભૂમિકામાં, વોલ્શ એરલાઇનના એકંદર સંચાલન અને વ્યૂહાત્મક દિશા માટે જવાબદાર રહેશે, જેમાં ગ્રાહક અનુભવને વધારવાની સાથે ઓપરેશનલ કામગીરીને મજબૂત કરવા, કંપનીના નેટવર્ક અને વ્યાપારી વ્યૂહરચનાને આગળ વધારવા માટે પરિવર્તનકારી પહેલ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
IATAમાં જોડાતા પહેલા, વોલ્શે તેમની આખી કારકિર્દી એરલાઇન ઉદ્યોગમાં વિતાવી હતી. તેઓ 1979માં એર લિંગસ સાથે કેડેટ પાઇલટ તરીકે જોડાયા હતા અને 2001માં તેના CEO બન્યા હતાં. 2005માં તેમને બ્રિટિશ એરવેઝના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતાં.













