REUTERS/Jonathan Ernst

અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધવિરામ પછી શાંતિ મંત્રણા માટે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ શુક્રવારે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ માટે રવાના થયા હતાં. તેઓ ઈરાન સાથે શનિવારે યોજાનારી શાંતિ મંત્રણાનું નેતૃત્વ કરશે. લેબનોન પર ઇઝરાયેલના હુમલાને કારણે ઇરાને તેની ભાગીદારી અંગે હજુ સુધી કોઇ સત્તાવાર પુષ્ટી આપી નથી. બીજી તરફ પાકિસ્તાને શાંતિ મંત્રણા યોજવા માટે તડામાર તૈયારીઓ ચાલુ કરી દીધી હતી.

પાકિસ્તાન માટે રવાના થતાં પહેલા વેન્સે જણાવ્યું હતું કે તેઓ મંત્રણા માટે આશાવાદી છે અને પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વાટાઘાટો માટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે. તેમમે તેહરાનને અમેરિકા સાથે “રમત” રમવાનો પ્રયાસ ન કરવા ચેતવણી પણ આપી છે.

શાંતિ મંત્રણાની જવાબદારી પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે વેન્સને સોંપી છે. વેન્સની સાથે સાથે વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનર પણ આ મિશનમાં સામેલ છે. ઇસ્લામાબાદમાં વાતચીત શરૂ થતા પહેલા જ અનિશ્ચિતતા બનેલી છે. જોકે ઈરાના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી અને સંસદ અધ્યક્ષ ગલીબાફ ઇસ્લામાબાદમાં આવ્યા છે કે નહીં તે અંગે અનિશ્ચિતતા જોવા મળી હતી. કેટલાંક રિપોર્ટ્સના અનુસાર, લેબેનોન ઇઝરાયેલના હુમલા ચાલુ રહ્યાં હોવાથી હજુ પણ ઈરાન નારાજ છે.

ઇઝરાયેલી વાયુસેનાએ શુક્રવારે પણ દક્ષિણ લેબનોનના અનેક વિસ્તારોમાં ભીષણ હવાઈ હુમલા કર્યા છે. લેબનોનની નેશનલ ન્યૂઝ એજન્સી (NNA) ના અહેવાલ મુજબ, ઇઝરાયલ દ્વારા સારાફંડ શહેરને નિશાન બનાવીને બે એર સ્ટ્રાઈક કરવામાં આવી હતી, જ્યારે અલ-બાયસરિયાહના બહારના વિસ્તારમાં આવેલા ખિરબત અલ-દુવૈર ક્ષેત્ર પર પણ મિસાઈલ મારો ચલાવવામાં આવ્યો હતો.

ઇસ્લામાબાદમાં યોજાનારી મહત્ત્વની વાટાઘાટો પહેલા પાકિસ્તાને તમામ પ્રતિનિધિઓ અને પત્રકારો માટે ‘વીઝા ઓન અરાઈવલ’ની જાહેરાત કરી હતી. ઈરાને તે તમામ અહેવાલોને ફગાવી દીધા હતાં કે ઈરાની પ્રતિનિધિમંડળ વાતચીત માટે પાકિસ્તાન પહોંચ્યું છે. ઈરાને સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી લેબેનોનમાં યુદ્ધવિરામ (સીઝફાયર) લાગુ નહીં થાય, ત્યાં સુધી તે અમેરિકા કે ઈઝરાયલ સાથે કોઈ પણ પ્રકારની શાંતિ વાટાઘાટોમાં સામેલ થશે નહીં.