યુવા અભિનેતા ટાઇગર શ્રોફે તાજેતરમાં એક સોશિયલ મીડિયા ઇન્ટરવ્યૂમાં ચોંકાવનારી સ્પષ્ટતા કરી છે. સામાન્ય રીતે ટાઇગર તેના એનર્જેટિક એક્શન અને સુપર ડાન્સ મૂવ્સ માટે જાણીતા છે પરંતુ તેણે પોતાના માટે ખૂબ જ અંગત પડકાર એવા ઉડાવાના ડર (એરોફોબિયા) વિશે ખુલીને વાત કરી છે. પોતાને આ ડર કઈ રીતે શરૂ થયો તે અંગે ટાઇગરે કહ્યું હતું કે, ‘હું ખરેખર એક થેરાપિસ્ટ પાસે જવાનું વિચારી રહ્યો છું કારણ કે મને એરોફોબિયા છે. થોડા વર્ષો પહેલાં, હું એક ખૂબ જ ટર્બ્યુલન્ટ ફ્લાઇટમાં હતો અને મને ખરાબ અનુભવ થયો હતો. ટર્બ્યુલન્ટ ફ્લાઇટ પર મારું કોઈ નિયંત્રણ નથી, હું શું કરું? ત્યારથી, દરેક વખતે જ્યારે મારે ફ્લાઇટમાં બેસવાનું હોય છે, ત્યારે મને બે દિવસ પહેલાથી જ ચિંતા થયા છે. કોઈ કારણસર, હું હજુ સુધી તેમાંથી બહાર આવી શક્યો નથી.”
ફ્લાઇટની સલામતી અંગે માહિતગાર હોવા છતાં, તેણે સ્વીકાર્યું કે, તેને તે અસર કરે છે. તે કહે છે કે, ‘આંકડાઓ કહે છે કે ફ્લાઇટની મુસાફરી સૌથી સુરક્ષિત છે. મેં ઘણા પાઇલટ્સ સાથે વાત કરી છે જેમણે બધાએ કહ્યું કે ટર્બ્યુલન્સ કંઈ નથી, માત્ર ખરાબ રસ્તા જેવું છે. એ લોકો મને આવું જ સમજાવે છે. પરંતુ એ વાત મારા મનને કોણ સમજાવશે? જ્યારે આવું થાય છે, ત્યારે વાત અલગ હોય છે. મને મારા શરીરના દરેક ભાગ પર નિયંત્રણ ગમે છે. મને ખબર હોવી ગમે છે કે હું શું કરી રહ્યો છું.’
ટાઇગરે વધુમાં એવું પણ જણાવ્યું કે, ‘નિયંત્રણની આ જરૂરિયાત તેના જીવનના અન્ય પાસાઓમાં પણ જોવા મળે છે, જેના કારણે ક્યારેક દૈનિક નિર્ણયો પણ મુશ્કેલ બની જાય છે. ક્યારેક તે ખરેખર નિરાશાજનક હોય છે કારણ કે હું ક્યારેક ખૂબ અનિર્ણાયક બની જાઉં છું, મારા દિવસનું કેવી રીતે આયોજન કરવું તે બાબતમાં પણ વિચારી શકતો નથી, જેથી હું મારી ક્ષમતાનો વધુ ઉપયોગ કરી શકતો નથી.’













