• લૌરેન કોડલિંગ દ્વારા

બ્રિટનમાં વસતા એશિયન્સને કોરોનાવાયરસની રસીને ગંભીરતાથી ધ્યાનમાં લેવા વિનંતી કરવામાં આવી છે અને ડોકટરોએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે “જુઠ્ઠી અફવાઓ”ને કારણે ઘણા લોકો આ રસીને નકારી શકે છે. આ રસીમાં આલ્કોહોલ અને બીફ તથા ડુક્કરના માંસનો સમાવેશ કરવામાં આવેલો છે તેવો દાવો કરતી અફવાઓ છેલ્લા મહિનાઓમાં સોશ્યલ મીડિયા અને વોટ્સએપ પર ફેલાઇ છે એવો નિષ્ણાતોએ દાવો કર્યો છે. કેટલાક લોકોએ તો એવો આક્ષેપ કર્યો છે કે રસીમાં સમાવાયેલ ખોટી સામગ્રીને કારણે તમારા ડીએનએમાં પણ બદલાવ આવી શકે છે. આવી ખોટી માહિતી ફેલાવાના કારણે રસીકરણ કાર્યક્રમમાં ભાગ લેવા બાબતે વંશીય લઘુમતીઓ અનિચ્છા દર્શાવી રહી છે.

ગયા સપ્તાહમાં એક વિશ્લેષણમાં 42 ટકા પાકિસ્તાની અને બાંગ્લાદેશી જૂથોએ જણાવ્યું હતું કે તેઓ રસી લે તેવી સંભાવના નહિંવત કે ખૂબ જ અસંભવિત છે. યુકે હાઉસહોલ્ડ લોન્ગીટ્યુડિનલ સ્ટડીના આંકડા અનુસાર શ્યામ જૂથોના 75 ટકા લોકોએ આ જ પ્રતિસાદ આપ્યો છે.

લંડનના મેયર સાદિક ખાને “ખોટા સમાચારો”ની વિરુધ્ધ ઝૂંબેશ ઉઠાવી ચિંતા વ્યક્ત કરી હતી કે ખોટી માહિતીને કારણે BAME સમુદાયના “સમજદાર, બુદ્ધિશાળી, વાજબી સભ્યો” ડરી રહ્યાં છે.

સાદિક ખાને સોમવારે તા. 18ના રોજ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે “ખોટી અને નકલી માહિતી ફેલાવનારા લોકો કરતાં, આપણે જીપી, ફાર્માસિસ્ટ, હોસ્પિટલોના કર્મચારીઓ જેવા નિષ્ણાત લોકો પર વિશ્વાસ કરવો જોઈએ. આ રસીનો ઉપયોગ કરીએ તે ખરેખર મહત્વનું છે અને જો તમે રસી માટે પાત્ર છો, તો કૃપા કરીને તેને લો. તે તમને, તમારા પરિવાર અને તમારા સમુદાયને મદદ કરશે.”

ગયા અઠવાડિયે બીબીસી સાથે વાત કરતા, હેમ્પશાયરમાં હિન્દુ ધર્મ પાળતી રીના પૂજારાએ દાવો કર્યો હતો કે ‘’મને રસીને લગતી ખોટી માહિતી વારંવાર મોકલવામાં આવી હતી. કેટલાક વિડિઓઝ તો ત્રાસદાયક હતા. ખાસ કરીને જ્યારે તમે જુઓ છો કે રીપોર્ટ કરનાર વ્યક્તિ એક મેડિક્સ છે અને તે એમ કહેતી હોય કે રસી તમારા ડીએનએમાં ફેરફાર કરશે ત્યેર ચિંતા થાય તે સ્વાભાવિક છે. સામાન્ય લોકો માટે તે ખૂબ જ મૂંઝવણભર્યું છે. અને જ્યારે તમે વાંચો કે રસીમાં રહેલા ઘટકો ગાયમાંથી લેવામાં આવ્યા છે – અને હિન્દુઓ તરીકે ગાય અમારા માટે પવિત્ર છે – તે અમને ખલેલ પહોંચાડે છે.”

એનએચએસ ઇંગ્લેન્ડના સહયોગી ચીફ ક્લિનિકલ ઇન્ફર્મેશન ઓફિસર અને હાલમાં આરોગ્ય સેવા માટે એન્ટિ-ડિસઇન્ફોર્મેશન ડ્રાઇવનું સંચાલન કરતાં ડૉ. હરપ્રીત સૂદે સ્વીકાર્યું હતું કે કેટલીક વંશીય લઘુમતીઓ રસીકરણ કાર્યક્રમમાં જોડાવા માટે અનિચ્છા ધરાવે છે તે “મોટી ચિંતાઓ” ઉભી કરે છે. તેમણે કહ્યું હતું કે “સ્પષ્ટ થઇ લોકોને સમજાવવાની જરૂર છે કે આ રસીમાં માંસ નથી, કે ડુક્કરનું માંસ નથી. આ રસીને તમામ ધાર્મિક નેતાઓ અને કાઉન્સિલ્સ અને ફેઇથ જૂથો દ્વારા સ્વીકારવામાં આવી છે અને તેનું સમર્થન કરવામાં આવ્યું છે. આ ડ્રાઈવમાં સાઉથ એશિયન્સ રોલ મૉડેલ્સ, ઇન્ફ્લુઅન્સર્સ, સમુદાયના નેતાઓ અને ધાર્મિક નેતાઓ એક સાથે આવીને રસીને લગતી ખોટી અફવાઓને દૂર કરવામાં મદદ કરે છે.’’

ડૉ. હરપ્રીતે જણાવ્યું હતું કે વોટ્સએપ અને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ફેલાયેલી ખોટી અફવા માટે ભાષા અને સાંસ્કૃતિક સીમાઓ જવાબદાર હોઈ શકે છે.’’

ગયા અઠવાડિયે, સરકારના સાયન્ટીફીક એડવાઇઝરી ગૃપ ઓફ ઇમરજન્સીઝ (સેજ)ના એક અહેવાલમાં પણ BAME સમુદાયોમાં રસી વિષેની શંકા માટે માળખાકીય અને સંસ્થાકીય જાતિવાદ અને ભેદભાવ”ને દોષી ઠેરવવામાં આવ્યો હતો. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ‘’લઘુમતી વંશીય જૂથોને હેલ્થ રિસર્ચમાં ઐતિહાસિક રીતે રજૂ કરવામાં આવ્યા છે, જેમાં રસી પરીક્ષણોનો સમાવેશ થાય છે, જે ચોક્કસ રસીને યોગ્ય અને સલામત માનવા માટે પ્રભાવિત કરી શકે છે.’’

ઇસ્ટ લંડનના ન્યુહામના જી.પી. ડૉ. ફરઝાના હુસેન કેટલાક વંશીય લઘુમતીઓને “તદ્દન પીડિત” માને છે. દાખલા તરીકે, તેમણે સંશોધનનો સંદર્ભ આપ્યો હતો જેમાં જાતિવાદ અને સામાજિક અસમાનતા જેવા પરિબળો કોવિડ-19નો ચેપ મેળવવામાં અને તેનાથી મૃત્યુ પામેલા વંશીય લઘુમતીઓના જોખમોમાં વધારો કરી શકે છે.

ડૉ. ફરઝાના કહે છે કે “કુટુંબ સમુદાયોમાં એક ડર અને થોડો ગુસ્સો છે – તે સવાલ કરી રહ્યા છે કે શું આપણે સમાન વિશ્વમાં જીવી રહ્યા છીએ. મને લાગે છે કે તેઓ પણ કેન્દ્ર સરકાર અને એનએચએસ તરફથી જે કંઈપણ આવે છે તેના વિશે થોડો ડર અનુભવે છે.”

આ ડરનું કારણ કેન્દ્ર સરકારમાં વિશ્વાસનો અભાવ અને રોગચાળા દરમિયાન સત્તાધીશોની વિરોધાભાસી સલાહ જવાબદાર હોવાનું ગણાવતા જણાવ્યું હતું કે

“સરકારે લોકોને કહ્યું કે તેઓ ક્રિસમસની ઉજવણી કરી શકે છે. પછી ક્રિસમસ રદ કરવામાં આવી હતી. મને લાગે છે કે લોકો કેન્દ્રીય રૂપે કહી રહ્યા છીએ સરકાર પર વિશ્વાસ રાખવો મુશ્કેલ છે. મને નથી લાગતું કે આપણો એવો સંદેશો સતત મેળવી રહ્યા છીએ જ્યાં લોકો તેના પર પ્રામાણિકપણે વિશ્વાસ કરી શકીએ.’’

ડડલી, વેસ્ટ મિડલેન્ડ્સમાં કામ કરતા ડૉ. સમારા અફઝલે ગયા મહિને, ગરવી ગુજરાતને કહ્યું હતું કે ‘’મેં તાજેતરના મહિનાઓમાં સોશ્યલ મીડિયા પર અસંખ્ય રસી વિરોધી કોન્સ્પીરસી થીયરીને ફરતા જોઇ છે. કેટલાક ઝડપથી વિકસાવાયેલી એ રસી હવે યુકેની હોસ્પિટલોમાં આપવામાં આવી રહી છે તે અંગે સવાલ ઉઠાવ્યા હતા, જ્યારે અન્ય લોકો માને છે કે કોવિડ-19 જ “માનવસર્જિત વાયરસ” છે. સાચું કહું તો હું નિરાશ છું. આપણે જાણીએ છીએ કે સમુદાયના વંશીય લઘુમતી સભ્યોને કોવિડથી ગંભીર પરિણામો આવવાની સંભાવના છે.’’

ગરવી ગુજરાતના જવાબમાં, કોવિડ વેક્સીન ડિપ્લોયમેન્ટ મિનીસ્ટર નધિમ ઝાહાવીએ દાવો કર્યો હતો કે ‘’વંશીય લઘુમતી સમુદાયોમાં રસીકરણના અસંખ્ય લાભો અંગે જાગૃતિ લાવવા સરકારે મહત્વના પગલાં ભર્યાં છે. એનએચએસ તેના લાભો વિશે જાગૃતિ લાવવા માટે રસીકરણ પ્રક્રિયા વિશે લક્ષિત સલાહ અને જાહેર માહિતી આપે જ છે.”

સરકારના જણાવ્યા મુજબ, તેમની માહિતી અભિયાન અંતર્ગત લગભગ 600થી વધુ પ્રકાશનોમાં આ અંગે સંદેશા પ્રકાશિત થયા હતા. જેમાં વંશીય લઘુમતીના વાચકોનું પ્રમાણ વધુ છે અને તે માહિતી 5 મિલિયનથી વધુ લોકો સુધી પહોંચી છે.