સંયુક્ત આરબ અમિરાતે ભારતમાંથી ખરીદવામાં આવેલા ઘઉંની નિકાસ અને પુનઃનિકાસ ચાર મહિના માટે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ગલ્ફ દેશના ઇકોનોમી મિનિસ્ટ્રીએ આ નિર્ણય લેવા પાછળના કારણ તરીકે વૈશ્વિક વેપાર પ્રવાહમાં અવરોધોને જવાબદાર ગણાવ્યા છે,પરંતુ ઉમેર્યું હતું કે, ભારતે યુએઈમાં સ્થાનિક વપરાશ માટે ઘઉંની નિકાસને મંજૂરી આપી છે.

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ હાલ સમગ્ર વિશ્વમાં ભારત જ ઘઉંની સપ્લાયનો મુખ્ય સ્ત્રોત છે. યુએઇના મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યુ છે કે, ભારતે 13મી મેના રોજ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે તેની પહેલા યુએઈમાં આયાત કરાયેલા ભારતીય ઘઉંની નિકાસ અથવા પુન: નિકાસ કરવા ઈચ્છતી કંપનીઓએ પહેલા મંત્રાલયને અરજી કરીને મંજૂરી મેળવવી પડશે.

વૈશ્વિક નિકાસ માંગમાં મોટી વૃદ્ધિ અને ઓછા ઉત્પાદનને પગલે ભારતના બજારમાં ઘઉંના ભાવ વધ્યા હતા, જેને પગલે ભારત સરકારે 14 મે, 2022ના રોજ ખાનગી વેપારીઓ- નિકાસકારો દ્વારા દેશમાંથી ઘઉંની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. જો કે અન્ય દેશોની વિનંતી કે આવશ્યકતાને ધ્યાનમાં રાખી બંને દેશોની સરકારો વચ્ચેના સંબંધોના આધારે ઘઉંની નિકાસ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. આ પછી અત્યાર સુધીમાં કેન્દ્ર સરકારે 469,202 ટન ઘઉંની શિપમેન્ટને મંજૂરી આપી છે.