પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે ગુજરાત સરકારે પાંચ જિલ્લાના ખેડૂતો માટે ૯૪૭ કરોડ રૂપિયાના રાહત પેકેજની સોમવારે જાહેરાત કરી હતી. જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ-થરાદ જિલ્લાના ૧૮ તાલુકાના ૮૦૦ ગામોના અસરગ્રસ્ત ખેડૂતોને આ સહાય ચૂકવવામાં આવશે.

કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય લીધો હતો. તેમણે દિવાળી પર પણ ખેડૂતો માટે ખાસ પેકેજને અંતિમ સ્વરૂપ આપવા માટે બેઠકો યોજી હતી. SDRFની જોગવાઈઓ અનુસાર 563 કરોડ રૂપિયાની સહાય અપાશે, જ્યારે રાજ્યના બજેટમાંથી 384 કરોડ રૂપિયા ઉમેરવામાં આવ્યા છે, જે કુલ 947 કરોડ રૂપિયા થાય છે.

સરકારી યાદીમાં જણાવાયું હતું કે પાકના નુકસાનની સહાય માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરાયેલા ધોરણો મુજબ નાણાકીય સહાય અપાશે, જે સિંચાઈવાળી અને બિન-પિયતવાળી જમીન માટે પ્રતિ હેક્ટર અલગ અલગ છે. સામાન્ય અને બાગાયતી પાકો માટે પણ નાણાકીય સહાયના ધોરણો અલગ છે. વાવ-થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં ખાસ ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે ભારે વરસાદને કારણે લાંબા સમય સુધી ખેતીલાયક જમીનમાં વારંવાર પાણી ભરાઈ જાય છે.રાજ્ય સરકારે આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ખાસ પૂર નિવારણ પગલાં અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. પ્રથમ વખત આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતોની સમસ્યાઓના નિરાકરણ માટે અલગથી 2,500 કરોડ રૂપિયાની જોગવાઈ કરાશે. જો વધુ જરૂર પડશે, તો 5,000 કરોડ રૂપિયા કે તેથી વધુની જોગવાઈ પણ કરાશે.

LEAVE A REPLY