Lord shiva
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે. જીવનને શિવમય બનાવીને ધન્યતા પામવાનો આ અનેરા અવસરે ભક્તોમાં શિવજીની પૂજા અર્ચનાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.પવિત્ર શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે રાજ્યના શિવાલયોમાં લાખો ભક્તો ઉમટી પડ્યા હતા. દેવાધિદેવ મહાદેવનો અભિષેક-પૂજન કરવા માટે ભક્તોની લાંબી લાઇનો લાગી હતી. ભક્તોએ પાની, દૂધ, મધ, શેરડીનો રસ સહિત સુગંધિત દ્રવ્યોથી ભગવાન શિવને અભિષેક કર્યો હતો. તદુપરાંત બિલ્વપત્ર, ધતુરાના ફૂલ અને પુષ્પો ચઢાવી ધન્યતા અનુભવી હતી. આ વર્ષે શિવાલયોમાં ભક્તો જે દૂધ ચડાવે છે. તે વહી ન જાય એ માટે કેટલાક મંદિરોમાં ભક્તોએ દૂધને સુરક્ષિત રીતે સાચવીને બહાર લઈ જઈ અન્ય જરૂરિયાત મંદો માટે પહોંચાડવાની નેમ લીધી છે.

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે નવી પ્રવેશ વ્યવસ્થા સફળ જોવા મળી. ઝોગઝેક પ્રકારની 6 લાઈનો વડે સ્ત્રી પુરુષોનો અલગ અલગ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. મંદિર પરિસર બહાર બેઠક વ્યવસ્થા કરી લોકોને ભક્તિ કરવા માટે સુવિધા ઊભી કરાઇ છે. હર હર ભોલેના નાદ સાથે સોમનાથમાં 30 દિવસીય શિવોત્સવ ચાલશે. અમદાવાદના કર્ણમુક્તેશ્વર, ચકુડિયા મહાદેવ, કામનાથ મહાદેવ અને શિવાનંદ આશ્રમ સહિતના શિવ મંદિરોમાં પૂજનના આયોજન કરાયા છે.
દીવમાં પાંડવો દ્વારા સ્થાપિત ગંગેશ્વર મહાદેવ મંદિરનું ખાસ મહત્વ રહેલું છે દીવના સમુદ્ર કિનારે આવેલું ગંગેશ્વર મહાદેવ મંદિર હજારો વર્ષ જૂનું છે, જ્યાં સમુદ્ર પોતે ત્યાં સ્થાપિત પાંચ શિવલિંગનો અભિષેક કરે છે.

શ્રાવણ માસના પ્રથમ સોમવારે દીવના પ્રાચીન મંદિર ગંગેશ્વર મહાદેવના દર્શન માટે ભાવિકો ઉમટ્યા હતા.
ભાવનગર શહેર અને જીલ્લામાં દરેક શિવમંદિરો રોશની, કમાનો, પતાકા, ધજા દ્વારા શણગારવામાં આવ્યા છે.
શહેરના ભીડભંજન મહાદેવ, બારસો મહાદેવ, જશોનાથ મહાદેવ, થાપનાથ મહાદેવ, તખ્તેશ્વર મહાદેવ, જ્યારે જીલ્લામાં ગોપનાથ મહાદેવ, સાંઢીડા મહાદેવ, ગૌતમેશ્વર મહાદેવ, નવનાથ મહાદેવ ભાવિકોએ મંદિરોમાં શિવલીંગની પૂજા અર્ચના, રૂદ્રી, અભિષેક જેવા આયોજનો થકી પુરી શ્રધ્ધાથી શ્રાવણ માસમાં લોકો લીન થયા છે.

વડોદરામાં આવેલા સુપ્રસિધ્ધ શિવાલયોમાં દર્શન-પૂજન સહિતના વિવિધ અનુષ્ઠાનોના આયોજનો કરવામાં આવ્યા છે.
વડોદરાના નવનાથ મંદિર સહિત, કાશી વિશ્વનાથ મહાદેવ, મોટનાથ મહાદેવ મંદિરમાં તેમજ જિલ્લાના કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર ખાતે પણ મોટી સંખ્યમાં શિવ ભક્યો ઉમટ્યા છે.