ફ્રાન્સમાં તાજેતરમાં જાહેર થયેલા એક વ્યાપક સર્વેના રીપોર્ટ અનુસાર 46 ટકા જેટલા લોકોએ જણાવ્યું હતું કે, તેઓ તેમના જીવનમાં કોઈક સમયે રંગભેદી ટિપ્પણી અથવા અન્યાયી વર્તનનો ભોગ બન્યા હતા. આ સર્વે ઇન્ટરનેશનલ લીગ અગેઇન્સ્ટ રેસિઝમ એન્ડ એન્ટિસેમિટિઝમ (LICRA) દ્વારા IFOP પોલીંગ ઇન્સ્ટિટ્યૂટના સહયોગથી કરવામાં આવ્યો હતો. સર્વેના રીપોર્ટ મુજબ, જે લોકો દેખીતી રીતે લઘુમતી સમુદાયના હોવાનું જણાતા હતા તેમણે આ મુદ્દે સૌથી વધુ ફરિયાદ કરી હતી. ફ્રાંસના સ્થાનિક અખબાર- લે મોન્ડ દ્વારા આ સર્વે રીપોર્ટને ટાંકીને જણાવ્યું હતું કે, આવા ભેદભાવ માટે ધર્મનો મુદ્દો બીજા મુખ્ય પરિબળ તરીકે જોવા મળ્યો હતો. રીપોર્ટ મુજબ, ધાર્મિક સંલગ્નતા જેવા પરિબળોના આધારે સર્વેમાં પ્રશ્નોના પ્રતિભાવ આપનારાઓમાં અનુભવો ખૂબ જ અલગ હતા. તેમણે જણાવ્યું હતું કે, આવા અનુભવોના કારણે તેઓ સમાજમાં વિશ્વાસ ગુમાવી રહ્યા છે અને એકલતા અનુભવી રહ્યા છે. આ પૈકીના ઘણા લોકોએ ફ્રાન્સ છોડવાનું પણ વિચાર્યું છે. આ સર્વે માટે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 વચ્ચે 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના 14,025 લોકોના પ્રતિભાવ જાણવામાં આવ્યા હતા.













