એર ઈન્ડિયાનું 232 મુસાફરો અને 10 ક્રૂ સભ્યો સાથેનું લંડન-ગેટવિક જઈ રહેલું એક વિમાન ગુરુવાર, 12 જૂને ભારતીય સમય મુજબ બપોરે 1.40 વાગ્યે અમદાવાદમાં ક્રેશ થયું હતું. અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ પછી ગણતરીની મિનિટોમાં જ આ વિમાન ક્રેશ થયું હતું અને આગના ગોળામાં ફેરવાયું ગયું હતું. દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતાં. તેનાથી મોટી જાનહાનીની આશંકા છે. આગને કાબુમાં લેવા માટે ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. દુર્ઘટનાના સ્થળેથી 50થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યાં હતાં. ઘાયલોનો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જઈ જવામાં આવ્યાં હતા.
આ વિમાનમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હતાં. દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટ AI 171માં 169 ભારતીયો, 53 બ્રિટિશ, એક કેનેડિયન અને સાત પોર્ટુગીઝ નાગરિકો સવાર હતા. ડીજીસીએના જણાવ્યા અનુસાર, અમદાવાદ એરપોર્ટ નજીક રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયેલા એર ઇન્ડિયાના વિમાનમાં 232 મુસાફરો અને 10 ક્રૂ સભ્યો હતા.
એર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમદાવાદથી બપોરે ૧૩.૩૮ વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં બોઇંગ ૭૮૭-૮ વિમાનમાં ૨૪૨ મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા.”અમે વધુ માહિતી પૂરી પાડવા માટે એક સમર્પિત પેસેન્જર હોટલાઇન નંબર 1800 5691 444 પણ સ્થાપિત કર્યો છે
ક્રેશના વીડિયો પરથી દેખાય છે કે મોટાપાયે જાનહાની શક્યતા છે. જોકે જાનહાની અંગે હજુ કોઇ સત્તાવાર માહિતી મળી શકી નથી.
એર ઇન્ડિયાએ X પર પોસ્ટ કર્યું હતું કે અમદાવાદ-લંડન ગેટવિક ઉડાન ભરતી ફ્લાઇટ AI171, આજે 12 જૂન 2025ની આ દુર્ઘટનમાં સામેલ હતું. હાલમાં અમે વિગતો મેળવી રહ્યાં છે. વહેલી તકે http://airindia.com અને અમારા X હેન્ડલ પર વધુ અપડેટ્સ શેર કરીશું.
મીડિયા રીપોર્ટ મુજબ મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં આ ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ત્રણ ગાડી અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તાત્કાલિક ધોરણે ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડાઈ રહ્યા છે.
એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયા બાદ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરની તમામ ફ્લાઇટ કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી. આનાથી અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક હાલમાં કાર્યરત નથી. આગામી સૂચના સુધી તમામ ફ્લાઇટ કામગીરી અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે,” સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથકના પ્રવક્તાએ નિવેદનમાં આ માહિતી આપી હતી. એરપોર્ટ દ્વારા મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલા નવીનતમ અપડેટ્સ માટે તેમની સંબંધિત એરલાઇન્સ સાથે તપાસ કરવાની સલાહ આપવામાં આવી છે.
