Arjun Kapoor
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

ફિલ્મ નિર્માતા બોની કપૂરનો પુત્ર ફિલ્મો કરતા મલાઇકા અરોરા સાથેના ગાઢ સંબંધોના કારણે વધુ ચર્ચામાં રહે છે. અર્જુન કહે છે કે તે, અત્યારે લગ્નનું વિચારતો નથી, પરંતુ કારકિર્દી બનાવવાઇચ્છે છે. મલાઇકા અરોરા સાથેના તેના નજીકનાસંબંધો જગજાહેર છે. તેઓ અનેકવાર સાથે જોવા મળે છે. સોશિયલ મીડિયામાં પણ તેઓ પોતાના પ્રેમનો સ્વીકાર કરે છે. તાજેતરમાં કરણ જોહરના શો- ‘કોફી વિથ કરન’માં અર્જુને જણાવ્યું હતું કે મલાઇકાએ તેની નાની સાથે પણ મુલાકાત કરી છે. સાથે જ અર્જુનનું માનવું છે કે તે પોતાના પરિવાર, મલાઇકાના ભૂતપૂર્વ પતિ અરબાઝ ખાનના પરિવાર અને લોકો પ્રતિ પણ સંવેદના ધરાવે છે.

કરણ જોહરે તેના શોમાં અર્જુનને લગ્ન અંગે પૂછ્યું હતું. તેના પ્રતિભાવમાં અર્જુને કહ્યું કે, ‘અત્યારે તો હું લગ્ન નથી કરવા ઇચ્છતો, કારણ કે બે વર્ષ લોકડાઉન અને કોવિડમાં પસાર થઈ ગયા છે. તેથી હું મારી કારકિર્દી પર ધ્યાન આપું છું. હું વાસ્તવાદી વ્યક્તિ છું. હું પ્રોફેશનલી થોડો સ્થિર થવા ઇચ્છું છું. હું ઇમોશનલી સ્થિર થવાની વાત કરું છું. હું એવું કામ કરવા ઇચ્છું છું જેનાથી મને ખુશી મળે. જો હું ખુશ હોઈશ તો હું મારા પાર્ટનરને પણ ખુશ રાખી શકીશ. ખુશખુશાલ જીવન પસાર કરી શકીશ. મારું એવું માનવું છે કે કામથી જ મને ઘણીબધી ખુશીઓ મળે છે.’