(ANI Photo)

ગુજરાત કૉંગ્રેસના સિનિયર નેતા અને ભૂતપૂર્વ પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને પત્ની રેશમાએ અન્ય યુવતી સાથે ઝડપી પડ્યાનો વિડીયો સામે આવતા રાજકીય માહોલ ગરમાયો હતો. ચારે તરફથી ભરતસિંહ સોલંકીની ટીકા કરવામાં અવી રહી છે ત્યારે ભરતસિંહ સોલંકીએ ગત સપ્તાહે મીડિયા સમક્ષ આવીને પોતાની પત્ની સાથે ચાલી રહેલા વિવાદ મામલે સ્પષ્ટતા કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ‘મારી ૩૦ વર્ષની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મારી પત્ની રેશમાને મારી મિલકતમાં જ રસ છે. મારે હજી ત્રીજા લગ્ન કરવાના છે. મારા છુટાછેડાની રાહ જોઈ રહ્યો છું. આજે મેં નિર્ણય કર્યો છે કે સક્રિય રાજકારણમાંથી મારે વિરામ લેવો છે. આ નિર્ણય મારો પોતાનો અંગત નિર્ણય છે.’

પત્ની સાથે વણસેલા સંબંધો અંગે તેમણે જણાવ્યું હતું કે, ‘લગ્નના ૧૫ વર્ષ સુધી મેં બાંધી મુઠ્ઠી રાખી હતી. હું ઘરની વાત ઘરમાં રાખવા માંગતો હતો. આ દેશમાં કેટલાય કુટુંબ છે જેમના લગ્નજીવનમાં સમસ્યા સર્જાતી હોય છે. મીડિયા કે ટીવીમાં આવવાથી પ્રશ્નનું નિરાકરણ આવતું નથી. આવા પ્રશ્નનું નિરાકરણ કુટુંબ કબિલામાં થાય અને ત્યાંથી વાત ન પતે તો કોર્ટમાં જઈ શકાય. કોર્ટ ગુણદોષના આધારે નક્કી કરશે કે આ બાબતે શું નિર્ણય કરવો. હવે હું પત્ની વિરુદ્ધ કોર્ટમાં પુરાવા આપીશ. લગ્ન થયાના ૧૫ વર્ષ સુધી કોઈ સબંધ ન હતા માત્ર ઔપચારિક સબંધ રહ્યા છે.’

તેમણે પત્ની રેશમા પર આક્ષેપો લગાવતા કહ્યું હતું કે, ‘મને કોરોના થયો ત્યારે મને બરોડા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે મારી તબિયત ખરાબ થતા ડોકટરે મને સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવા સલાહ આપી હતી ત્યારે રેશમાએ મારા પિતાને ફોન પર કહ્યું હતું કે હવે ભરત નહીં બચે. મને એ હોસ્પિટલમાં મળવા આવી ત્યારે એક જ વાત કરતી હતી કે તમે મરી જશો તો મારૂ શું થશે. તેને મારા રૂપિયા ક્યાં છુપાયેલા છે તે શોધવામાં જ રસ હતો. મારે કોઈ બાળક નથી. મારુ મૃત્યુ થાય તો મારી મિલકત તેમને જ મળવાની હતી પણ તેમને ધીરજ નહોતી. મારા ખાવામાં, દૂધમાં કંઈક ભેળવી દેવાના દાખલા છે. તે દોરા, ધાગા, મુલ્લા, મૌલવીને જઈને પૂછતી કે આ ક્યારે મરશે
મને કોઈ સ્વીકારવા તૈયાર હશે તો મારા ત્રીજા લગ્ન પણ થશે. હું મારા છુટાછેડાની રાહ જોઈ રહ્યો છું.’