ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગ અને અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન વચ્ચે 16 નવેમ્બર 2021ના રોજ વીડિયો લિન્ક મારફત વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. . REUTERS/Tingshu Wang/File Photo

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન સાથે મંગળવારે વર્ચ્યુઅલ સમીટમાં આક્રમક વલણ અપનાવીને ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે ચેતવણી આપી હતી કે તાઇવાનના મુદ્દે આગ સાથે રમતા લોકો ભસ્મીભૂત થઈ જશે. ચીન તેના સાર્વભોમત્વ અને સુરક્ષા હિતનું કોઇપણે રીતે રક્ષણ કરશે. આશરે ત્રણ કલાક લાંબી સમીટમાં સંખ્યાબંધ મુદ્દાને આવરી લઇને આપેલા લાંબા પ્રવચનમાં જિનપિંગે તાઇવાન સહિતના સંખ્યાબંધ મુદ્દા અંગે બેઇજિંગની “લાલરેખા” ખેંચી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ચીનનો ઉદય ઇતિહાસનો અનિવાર્ય ટ્રેન્ડ છે અને તેને અટકાવી શકાશે નહીં.
તાઇવાનના એર ડિફેન્સ ઝોનમાં ચીને આશરે 200 મિલિટરી વિમાનો મોકલ્યા છે અને તેનાથી આ ટાપુ દેશના મુદ્દે તંગદિલી ઊભી થઈ છે. આ તંગદિલી માટે જિનપિંગે આઝાદીના એજન્ડા માટે અમેરિકાનો સપોર્ટ લેવાના તાઇવાન સત્તાવાળાના વારંવારના પ્રયાસોને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે ચીનને દબાવવા માટે કેટલાંક અમેરિકન લોકો તાઇવાનનો ઉપયોગ કરી રહ્યાં છે.

જિનપિંગે બાઇડનને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આવી હિલચાલ અત્યંત જોખમી છે અને તે આગ સાથે રમવા જેવું છે. જે કોઇ આગ સાથે રમશે તે ભસ્મીભૂત થઈ જશે. વન ચાઇનના સિદ્ધાંત અને થ્રી ચાઇના- યુએસ જોઇન્ટ કોમ્યુનિક્યુ ચીન અને અમેરિકાના સંબંધો વચ્ચેના રાજકીય પાયો છે. અમેરિકાની અગાઉની સરકારોએ આ સવાલ અંગે સ્પષ્ટ પ્રતિબદ્ધતા આપેલી છે.

તેમણે જણાવ્યું હતું કે તાઇવાન મુદ્દાની સાચી યથાવત સ્થિતિ અને વન ચાઇનનો સિદ્ધાંત એ છે કે વિશ્વમાં એક જ ચીન છે અને તાઇવાન ચીનનો એક ભાગ છે તથા પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાની સરકાર ચીનનું પ્રતિનિધિત્વ કરતી એકમાત્ર કાનૂની સરકાર છે.

તાઇવાનના મુદ્દે ભાવિ યોજના રજૂ કરતાં તેમણે જણાવ્યું હતું કે ચીનનું સંપૂર્ણ પુનઃ એકીકરણ ચીનના તમામ સંતાનોની સહિયારી આકાંક્ષા છે. અમારી પાસે ધીરજ છે તથા સંપૂર્ણ ઇમાનદારી અને પ્રયાસો સાથે શાંતિપૂર્ણ પુનઃએકીરણના ભાવિ માટે પ્રયત્નશીલ છીએ. આ સ્થિતિ વચ્ચે પણ જો તાઇવાનની આઝાદી માટેના બળવાખોર જૂથો અમારી ઉશ્કેરણી કરશે, અમને ફરજ પાડશે કે રેડલાઇન વટાવશે તો અમને દ્રઢનિશ્ચયી પગલાં લેવાની ફરજ પડશે.
બાઇડન સાથે વાતચીતમાં જિનપિંગે તાજેતરમાં પૂરી થયેલી સીપીસી બેઠકનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ બેઠકમાં તેમને વધુ સત્તાઓ આપવામાં આવી હતી અને પાર્ટીના સ્થાપક માઓ ઝેગોંડ માટે વપરાતું કર્ણધારનું બિરુદ આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં છેલ્લાં 100 વર્ષોમાં સીપીસીની મોટી સિદ્ધીઓ અને ઐતિહાસિક અનુભવની સમીક્ષા કરવામાં આવી હતી.

જિનપિંગે જણાવ્યું હતું કે આશરે 100 વર્ષોથી સીપીસીએ તેની સ્થાપના સમયની આકાંક્ષાનું પાલન કર્યું છે અને ચીનના પુનનિર્માણ અને લોકોની ખુશાલી માટે કાર્ય કર્યું છે. આ દિશામાં ઘણું હાંસલ કરવામાં આવ્યું છે, પરંતુ તે હજુ પૂરતું નથી. વધુ કામ કરવાની જરૂર છે. ચીનના ઉદયને અટકાવવાના અમેરિકાના પ્રયાસોનો દેખિતો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે આ ઐતિહાસિક ટ્રેન્ડને અટકાવવાના કોઇપણ પ્રયાસને ચીનના લોકો નકારી કાઢશે અને કોઇ પણ રીતે સફળ થશે નહીં. ચીનના નેતા તરીકે 1.4 અબજ નાગરિકોની સેવા અને વધુ સારા જીવન માટે તેમની સાથે કામગીરી મારા માટે મોટો પડકાર અને મોટી જવાબદારી છે. હું મારું પોતાનું સુખ બાજુએ મૂકીને લોકોની આકાંક્ષા પૂરી કરીશ.

સંઘર્ષના માર્ગ પરથી દ્વિપક્ષીય સંબંધોના માર્ગ પર આવવા માટે બાઇડને અનુરોધ કરતાં તેમણે જણાવ્યું હતું કે રચનાત્મક ઢબે મતભેદો અને સંવેદનશીલ મુદ્દાનો ઉકેલ ચીન-અમેરિકા વચ્ચેના સંબંધોને ખોરવાતા કે અંકુશ બહારના જતાં રોકવા માટેનો એકમાત્ર માર્ગ છે. બે દેશો વચ્ચે મતભેદ હોય તે સહજ છે, પરંતુ રચનાત્મક ઢબે તેનો ઉકેલ લાવી શકાાય છે, તેથી તંગદિલીમાં વધારો ન થાય.

આની સાથે-સાથે તેમણે જણાવ્યું હતું કે ચીન તેની અખંડિતતા, સુરક્ષા અને હિતોનું કોઇપણ રીતે રક્ષણ કરશે. તેથી અમેરિકા દુરંદેશી સાથે સંબંધિત મુદ્દાનો યોગ્ય ઉકેલ લાવે તે મહત્ત્વનું છે.