અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધવિરામ થયો હોવા છતાં ઇઝરાયેલે બુધવાર, 8 એપ્રિલે લેબનોનમાં કરેલા અત્યાર સુધીના સૌથી મોટા હવાઇ હુમલામાં ઓછામાં ઓછા 250 લોકોના મોત થયાં હતાં. લેબનોન સ્થિત ઇરાન સમર્થિત હિઝબુલ્લાહ સાથે સંઘર્ષ શરૂ થયા પછી આ સૌથી મોટો હુમલો હતો. હિઝબુલ્લાહે પણ ઉત્તર ઇઝરાયલ પર રોકેટ હુમલા શરૂ કર્યા હતાં.
આ હુમલાઓને કારણે પ્રાદેશિક સીઝફાયર અંગે સવાલો ઉભા કર્યા હતાં. ઇરાનના પ્રેસિડન્ટ મસૂદ પેઝેશ્કીયાને જણાવ્યું હતું કે લેબનાનમાં યુદ્ધવિરામ અમેરિકા સાથેની શાંતિ સમજૂતીની એક મુખ્ય શરત છે.
બુધવારે બપોરે લેબનાનની રાજધાની બૈરુતમાંમાં સતત પાંચ મોટા વિસ્ફોટ થયા હતાં અને આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યાં હતાં. ઇઝરાયલની સેનાએ કહ્યું હતું કે તેને યુદ્ધનો અત્યાર સુધીનો સૌથી મોટો સંકલિત હુમલો કર્યો હતો. 10 મિનિટમાં બેરૂત, બેકા વેલી અને દક્ષિણ લેબનાનમાં હિઝબુલ્લાહના 100થી વધુ કમાન્ડ સેન્ટર અને સૈન્ય સ્થળોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.
લેબનાનની સિવિલ ડિફેન્સ સેવાએ જણાવ્યું કે કુલ 254 લોકોનાં મોત થયા હતાં અને 1,100થી વધુ ઘાયલ થયા હતાં. સૌથી વધુ નુકસાન બેરૂતમાં થયું હતું, જ્યાં 91 લોકોનાં મોત થયા થયા હતાં. હેલ્થ મંત્રાલયે દેશભરમાં 182 મૃત્યુની પુષ્ટિ કરી હતી.
હિઝબુલ્લાહે ગુરુવારે વહેલી સવારે કહ્યું કે તેને મનારા કિબુટ્ઝ પર રોકેટ હુમલો કર્યો હતો. હિઝબુલ્લાહે ઇઝરાયલ સામે યુદ્ધવિરામનો આક્ષેપ કર્યો હતો. જૂથે કહ્યું હતું કે આ જવાબી કાર્યવાહી ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયલ-અમેરિકી આક્રમણ બંધ નહીં થાય.
ઇઝરાયેલ-લેબનોન વચ્ચે 2 માર્ચે સંઘર્ષનો પ્રારંભ થયો હતો. હિઝબુલ્લાહે ઇરાનના સમર્થનમાં ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. તેના જવાબમાં ઇઝરાયલે સંપૂર્ણ હવાઈ અને જમીન યુદ્ધ શરૂ કર્યું હતું.
ઇઝરાયલ અને અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે લેબનાન યુદ્ધવિરામનો ભાગ નથી. ઇઝરાયલના વડાપ્રધાન બેન્ઝામિન નેતાન્યાહૂએ જણાવ્યું કે સેનાની કાર્યવાહી ચાલુ રહેશે. અમેરિકાના ઉપપ્રમુખ જે ડી વેન્સે કહ્યું હતું કે ઇરાનને ગેરસમજ થઈ હતી કે લેબનાન પણ સીઝફાયરનો ભાગ છે.પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે અગાઉ જણાવ્યું હતું કે સીઝફાયર લેબનાનને પણ આવરી લે છે.
ઇઝરાયેલે લેબનોનો લગભગ 15% વિસ્તાર ખાલી કરવાની સૂચના આપેલી છે. 12 લાખથી વધુ લોકો સ્થળાંતરિત થયા છે. આ પહેલા ઇઝરાયલના હુમલામાં 1,500થી વધુ લોકોનાં મોત થયા હતા, જેમાં 130થી વધુ બાળકો સામેલ છે.














