અમદાવાદની એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાનાં કારણોની તપાસ કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કેન્દ્રીય ગૃહ સચિવના અધ્યક્ષસ્થાને બહુ-વિભાગીય એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. સિવિલ એવિએશન ડીપાર્ટમેન્ટે આ અંગે જણાવ્યું છે કે, આ કમિટી જે દુર્ઘટનાની તપાસ કરતી અન્ય એજન્સીઓ કાર્યરત છે તેનો વિકલ્પ નહીં બને. આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે SOP (કાર્યપદ્ધતિ) તૈયાર કરવાનું રહેશે અને તે ત્રણ મહિનામાં પોતાનો રીપોર્ટ રજૂ કરશે. વિમાન દુર્ઘટના તપાસ બ્યુરો (AAIB) પહેલેથી જ આ દુર્ઘટનાની તપાસ કરી રહ્યું છે. મંત્રાલયના 13 જૂનના આદેશ મુજબ હોમ સેક્રેટરી ગોવિંદ મોહનની અધ્યક્ષતામાં આ કમિટીમાં સિવિલ એવિએશન સેક્રેટરી સચિવ અને ગૃહ મંત્રાલયના અધિક સચિવ સભ્ય તરીકે જોડાયા છે.
આ કમિટીમાં ગુજરાતના ગૃહ વિભાગના, ગુજરાત રાજ્ય આપત્તિ નિવારણ પ્રાધિકરણ, અમદાવાદ પોલીસ કમિશનર, વાયુસેના મહાનિદેશક (ઇન્સ્પેક્શન અને સુરક્ષા), નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો (BCAS) ના મહાનિર્દેશક અને નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA)ના પ્રતિનિધિઓ પણ સામેલ છે.
આ કમિટી વિમાનોના ગુમ થયેલા રેકોર્ડ, કોકપિટ વોઇસ રેકોર્ડર, મેન્ટેનન્સ રેકોર્ડ, ATC લોગ્સ તથા સાક્ષીઓના નિવેદનો જેવી તમામ વિગતો એકત્ર કરશે. વિદેશી નાગરિકો અથવા વિમાન નિર્માતાઓ સાથે સંકળાયેલી બાબતોમાં કમિટી ઇન્ટરનેશનલ એજન્સીઓ સાથે સહયોગ કરશે.
