પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

દેશમાં કોલસાની અછતને કારણે અંધારપટ છવાઈ જવાની ચિંતા વચ્ચે કેન્દ્રીય કોલસા પ્રધાન પ્રહલાદ જોશીએ મંગળવારે જણાવ્યું હતું કે દેશભરમાં કોલસાના સપ્લાયમાં કોઇ ઢીલ નથી અને કોલસાની કોઇ અછત ઊભી નહીં થાય.દેશમાં ઉત્સવોની સિઝન ચાલુ થઈ છે તેવા સમયે દેશભરના પાવર પ્લાન્ટ કોલસાની અછતનો સામનો કરી રહ્યાં છે, ત્યારે જોશીએ આ આશ્વાસન આપ્યું છે. દિલ્હી, તમિલનાડુ અને કર્ણાટક સહિતના કેટલાંક રાજ્યોએ આગામી દિવસોમાં અંધારપટ છવાઇ જવાની ચેતવણી આપી છે.

જોશીએ જણાવ્યું હતું કે અમે અમારો સપ્લાય ચાલુ રાખ્યો છે. બાકી લેણા બાકી હોવા છતાં ભૂતકાળમાં પણ ચાલુ રાખ્યો હતો. અમે સ્ટોકમાં વધારો કરવાની રાજ્યોને વિનંતી કરી રહ્યાં છે. કોલસાની કોઇ અછત સર્જાશે નહીં. તેમણે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાને કારણે અછતની સ્થિતિ ઊભી થઈ છે. ભારે વરસાદને કારણે કોલસાના અછત ઊભી થતાં આંતરરાષ્ટ્રીય ભાવ ટનદીઠ રૂ.60થી વધીને ટનદીઠ રૂ.190 થયા છે. તેનાથી આયાતી કોલસાને આધારે ચાલતા પાવર પ્લાન્ટ 15થી 20 દિવસ માટે બંધ હતા અથવા ઓછું ઉત્પાદન કરતાં હતા. તેનાથી ઘરેલુ કોલસાના સપ્લાય પર દબાણ ઊભું થયું છે.

જોકે પ્રધાને આશ્વાસન આપ્યું હતું કે દેશમાં કોલસાની અછત ઊભી ન થાય તે માટે પૂરતો સપ્લાય જાળવી રાખવામાં આવ્યો છે. સોમવારે 19.4 લાખ ટન કોલસાનો સપ્લાય આપવામાં આવ્યો હતો, જે અત્યાર સુધીનો સૌથી વધુ છે.
તેમણે જણાવ્યું હતું કે રાજ્યોનો સવાલ છે ત્યાં સુધી આ વર્ષના જૂનથી અમે સ્ટોકમાં વધારો કરવાની તેમને વિનંતી કરતાં હતા. કેટલાંક રાજ્યોએ એવું પણ કહ્યું હતું કે મહેરબાની કરો, હવે કોલસો ન મોકલશો.

અગાઉ વીજળી મંત્રાલયે સેન્ટ્રલ જનરેટિંગ સ્ટેશનમાં વણવપરાયેલા પાવરનો ઉપયોગ કરવા રાજ્યોને સૂચના આપી હતી. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મંત્રાલયના ધ્યાનમાં લાવવામાં આવ્યું છે કે કેટલાંક રાજ્યો તેમના ગ્રાહકોને પાવર સપ્લાય આપતા નથી અને લોડ શેડિંગનો અમલ કરી રહ્યાં છે. આની સાથે સાથે રાજ્યો ઊંચા ભાવે પાવર એક્સ્ચેન્જમાં વીજળીનું વેચાણ કરી રહ્યાં છે. પાવર ફાળવણીની ગાઇડલાઇન મુજબ સેન્ટ્રલ સ્ટેશનનીની 15 ટકા વીજળીની ફાળવણી કરાતી નથી. આ સપ્લાય પછીથી જરૂરિયાતમંદ રાજ્યોને આપવામાં આવે છે.
બીજી તરફ કોલ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે કંપનીએ ચાલુ મહિનાની છેલ્લાં ચાર દિવસ દરમિયાન દેશભરમાં પાવર યુટિલિટીને કોલસના સપ્લાયને વધારીને દૈનિક 15.1 લાખ ટન કર્યો છે.