પેસેન્જર્સની સંખ્યામાં સતત વધારાને પગલે અમદાવાદ ખાતેના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશન એરપોર્ટ પર ત્રીજું ટર્મિનલ બનાવવાની વિચારણા ચાલુ થઈ છે. આ એરપોર્ટનું સંચાલન કરતી કંપની અદાણી એરપોર્ટ્સના CEO અરુણ બંસલે મીડિયાને જણાવ્યું હતું કે અમે હાલમાં T1 અને T2ના વિસ્તરણની કામગીરીમાં વ્યસ્ત છીએ, પરંતુ જે પ્રમાણે એરપોર્ટ પર પેસેન્જરોની સંખ્યા વધી છે એને જોતા ચોક્કસપણે અહીં નવું ટર્મિનલ બનાવવું પડશે.
અદાણી એરપોર્ટના CEO અરુણ બંસલે જણાવ્યું કે અમે ટર્મિનલ 3 પ્રોજેક્ટ પર કામગીરી શરૂ કરવા જઈ રહ્યા છીએ. એરપોર્ટ પર T1 અને T2ની કેપેસિટી વાર્ષિક એક કરોડ પેસેન્જરોની છે. પરંતુ ભવિષ્યમાં આમાં ઘણો વધારો થઈ શકે છે. જેથી કરીને એરપોર્ટ પર અસુવિધાઓ ન સર્જાય તેના માટે કડક સિક્યોરિટી બંદોબસ્ત સહિત કેપેસિટીમાં પણ વધારો થઈ શકે છે. જે વાર્ષિક 1.6 કરોડને પાર જવાની ધારણા છે.
અમદાવાદ એરપોર્ટ પર ટર્મિનલ 1, ટર્મિનલ 2, સેકન્ડરી ટ્રાફિક ટર્મિનલ અને કાર્ગો ટર્મિનલ છે. જેમાં ટર્મિનલ 1માં ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે છે. જ્યારે ટર્મિનલ 2 ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એમ બંને ફ્લાઈટ્સ માટે છે. ટર્મિનલ 1, 4 લાખ 80 હજાર સ્ક્વેરફૂટ એરિયાને આવરી લે છે. અહીં 23 ચેક ઈન કાઉન્ટર્સ આવેલા છે. એટલું જ નહીં આ ટર્મિનલના 3 ગેટ છે અને 3 X-Ray બેગેજ ફેસેલિટી પણ છે. આની સાથે રેસ્ટોરાં, પાર્કિંગ, ટ્રાન્સપોર્ટ જેની સુવિધાઓ પણ છે.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)