(PTI Photo/Atul Yadav)

કોરોના મહામારીને બીજી લહેર ભારતને પોતાના ભરડામાં લીધી છે અને દેશમાં બુધવારે સતત 13મા દિવસે ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા અને વિક્રમજનક 3,780 લોકોના મોત થયા હતા. મેડિકલ ઓક્સિજન અને દવાઓની અછત વચ્ચે આશરે 15 જેટલા રાજ્યોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2,06,65,148 થઈ હતી, જેમાંથી 1,69,51,731 લોકો કોરોનામુક્ત થયા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે સવારે આઠ વાગ્યે જારી કરેલા ડેટા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 3,82,315 નવા કેસ સામે આવ્યા હતા અને 3,38,439 દર્દીઓ સાજા પણ થયા છે. દેશમાં 3,780 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો હતી. દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 34,87,229 થઈ હતી, જે કુલ કેસના 16.87 ટકા છે. રાષ્ટ્રીય રિકવરી રેટ 82.03 ટકા રહ્યો હતો.

આ મહામારીના કારણે અત્યાર સુધીમાં 2.26 લાખથી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 51,880 નવા કેસ સામે આવ્યા હતા. 65,934 લોકો ડિસ્ચાર્જ થયા છે અને 891 લોકો મૃત્યુ પામ્યા છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 6,41,910 થઈ ગઈ છે અને અત્યાર સુધીમાં કુલ 71,742 લોકોના મોત થયા છે.

કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44,631 નવા કેસ સામે આવ્યા હતા, 24714 લોકો ડિસ્ચાર્જ થયા હતા અને 292 લોકો મૃત્યુ પામ્યા હતા. આ સાથે જ કુલ એક્ટિવ કેસ 4,64,363 થઈ ગયા છે અને કુલ 16,538 લોકો મૃત્યુ પામ્યા છે. તે સિવાય ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, બિહાર, ગુજરાત, મધ્ય પ્રદેશ, બંગાળ, પંજાબ, ઉત્તરાખંડ અને ઝારખંડની સ્થિતિ પણ ચિંતાજનક છે.