તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામાને લોસ એન્જલસમાં આયોજિત 68મા ગ્રેમી એવોર્ડ્સમાં તેમના સ્પોકન-વર્ડ આલ્બમ મેડિટેશન્સ: ધ રિફ્લેક્શન્સ ઓફ હિઝ હોલિનેસ ધ દલાઈ લામા માટે શ્રેષ્ઠ ઓડિયો બુક, નેરેશન અને સ્ટોરીટેલિંગ રેકોર્ડિંગ કેટેગરીમાં પ્રથમ ગ્રેમી એવોર્ડ એનાયત કરાયો હતો. જોકે ચીને તેનો વિરોધ કર્યો હતો.
આ પુરસ્કાર અંગેના એક પ્રશ્નના જવાબમાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને જણાવ્યું હતું કે દલાઈ લામા સંપૂર્ણપણે ધાર્મિક વ્યક્તિ નથી. તેઓ ધર્મના વેશમાં ચીન વિરોધી અલગતાવાદી પ્રવૃત્તિ માટે રાજકીય ગતિવિધિ કરી છે. બેઇજિંગ ચીન વિરોધી પ્રવૃત્તિઓ કરવા માટે આ એવોર્ડનો ઉપયોગ કરવાના સંબંધિત પક્ષકારોના પ્રયાસનો સખત વિરોધ કરે છે.
૧૯૫૯માં ચીની શાસન સામે નિષ્ફળ બળવો થયા બાદ તિબેટથી દલાઈ લામા ભારતના ધર્મશાલામાં આવી ગયા હતાં. નોબેલ સમિતિએ તિબેટની સ્વતંત્રતા માટે તેમના સતત, અહિંસક સંઘર્ષ માટે ૧૯૮૯માં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કર્યો હતો.
ગ્રેમીમાં 90 વર્ષીય આધ્યાત્મિક નેતાએ અન્ય નોમિનીઓને પાછળ છોડી દીધા હતાં. આ પુરસ્કાર પર પ્રતિક્રિયા આપતા, દલાઈ લામાએ ચિંતનશીલ અને અલ્પોક્તિપૂર્ણ સ્વરમાં કહ્યું હતું કે તેઓ આ સન્માનને વ્યક્તિગત સિદ્ધિ તરીકે જોતા નથી.












