ભારતમાં દર વર્ષે ગણતંત્ર દિવસની પૂર્વસંધ્યાએ સરકાર દ્વારા સમાજના વિવિધ ક્ષેત્રોમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા લોકોને પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. આ વર્ષની પદ્મશ્રી પુરસ્કારની યાદીમાં ફિલ્મ ક્ષેત્રે યોગદાન આપવા બદલ જાણીતા અભિનેતા આર. માધવનની પસંદગી થઇ છે.
આ અંગે માધવને સોશિયલ મીડિયામાં આભાર વ્યક્ત કર્યો હતો. તેણે આ પ્રતિષ્ઠિત સન્માન માટે પોતાનાં પરિવાર, માર્ગદર્શકો, શુભચ્છકો અને દર્શકોનો આભાર માનીને કહ્યું હતું કે, તેમનો સહકાર અને શ્રદ્ધા જ હંમેશા તેની કારકિર્દીના કેન્દ્રમાં રહ્યા છે. માધવને આ સન્માનને એક સિદ્ધિથી વધુ જવાબદારી ગણાવી હતી.
તેણે વચન પણ આપ્યું છે કે તે પોતાના આ મૂલ્યોને વળગી રહેશે. આ એવોર્ડ તેમને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા નવી દિલ્હીમાં માર્ચ કે એપ્રિલ મહિનામાં એનાયત થશે. માધવને 2001માં રહેના હે તેરે દિલ મેં ફિલ્મથી બોલીવૂડ પદાર્પણ કર્યું હતું. આ અગાઉ તેણે મણિરત્નમની અલાઈ પાયુથે તમિલ ફિલ્મમાં કામ કર્યું હતું. તેણે રંગ દે બસંતી, તનુ વેડ્ઝ મનુ, શૈતાન, થ્રી ઇડિયટ્ અને છેલ્લે ધુરંધરમાં કામ કર્યું છે.














