કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ટૂંક સમયમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની પત્ની ટીના અંબાણીને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે નવું સમન્સ જારી કરશે. 68 વર્ષીય ભૂતપૂર્વ અભિનેત્રી ટીના અંબાણી સોમવાર, 9 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ફેડરલ એજન્સી સમક્ષ જુબાની આપી ન હતી. તેથી તેમને ટૂંક સમયમાં ફરીથી બોલાવવામાં આવશે.
એવું માનવામાં આવે છે કે ન્યૂ યોર્કના મેનહટનમાં એક લક્ઝરી કોન્ડોમિનિયમની ખરીદી સાથે જોડાયેલા નાણાંના વ્યવહારના સંદર્ભમાં તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યાં હતાં. EDએ તાજેતરમાં આ કેસમાં RCOM (રિલાયન્સ કોમ્યુનિકેશન)ના ભૂતપૂર્વ પ્રમુખ પુનિત ગર્ગની ધરપકડ કરી હતી.
સુપ્રીમ કોર્ટના આદેશો પર એજન્સીએ તાજેતરમાં અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રુપ (ADAG) સામે કથિત બેંક છેતરપિંડી અને નાણાકીય અનિયમિતતાઓના અનેક કેસોની તપાસ માટે વિશેષ તપાસ સમિતિ (SIT)ની રચના કરી છે.
અગાઉ સુપ્રીમ કોર્ટે અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રુપ, અનિલ અંબાણી અને ગ્રુપ કંપનીઓના રૂ.40,000 કરોડના કથિત બેન્કિંગ અને કોર્પોરેટ ફ્રોડની તપાસમાં ભેદી વિલંબ અંગે સખત નારાજગી વ્યક્ત કરીને ન્યાયી, ત્વરિત અને નિષ્પક્ષ તપાસ કરવાનો સીબીઆઇ અને ઇડીને આદેશ આપ્યો હતો.
આ કેસની સુનાવણી દરમિયાન સિનિયર એડવોકેટ મુકુલ રોહતગીએ અનિલ અંબાણી વતી સુપ્રીમ કોર્ટમાં ખાતરી આપી હતી કે તેઓ કોર્ટની પૂર્વ મંજૂરી વગર દેશ છોડશે નહીં. અગાઉ જાહેર હિતની અરજી કરનારા અરજદાર અને ભૂતપૂર્વ અધિકારી ઇએએસ શર્માએ આશંકા વ્યક્ત કરી હતી કે અનિલ અંબાણી દેશમાંથી બહાર ભાગી જશે.
અંબાણી અને તેમના ગ્રુપની કંપનીઓ સામેની હાલની તપાસમાં પ્રગતિ અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય તપાસ એજન્સી (સીબીઆઇ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) પાસેથે ચાર સપ્તાહમાં તાજો સ્ટેટસ રીપોર્ટ માંગ્યો હતો.













