(ANI Photo)

સોમનાથ મંદિરની ઐતિહાસિક યુદ્ધ ગાથા દર્શાવતી ફિલ્મ ‘કેસરી વીર’ તાજેતરમાં રીલીઝ થઇ હતી. તેમાં સુનીલ શેટ્ટી, વિવેક ઓબેરોય અને સૂરજ પંચોલી, હિતુ કનોડિયા જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. આ ઐતિહાસિક ફિલ્મમાં પ્રાચીન કાળમાં સોમનાથ મંદિરના રક્ષણ માટે લડાયેલા મહાન યુદ્ધની ગાથા રજૂ કરવામાં આવી છે. કનુ ચૌહાણ દ્વારા નિર્મિત આ ફિલ્મનું દિગ્દર્શન પ્રિન્સ ધીમાન દ્વારા કરવામાં આવ્યું છે.

ફિલ્મની કથા 14મી સદીમાં થયેલા યુદ્ધ પર આધારિત છે, જ્યારે એક ભયાનક આક્રમકે સોમનાથ મંદિર પર કબજો મેળવવા માટે હુમલો કર્યો હતો. આ શત્રુઓ સામે લડવા માટે રાજપૂત યોદ્ધાઓએ મહાન યુદ્ધ લડ્યું હતું. ફિલ્મમાં યુદ્ધના દ્રશ્યો, દમદાર એક્શન અને વીરરસનું સંયોજન છે. આ ફિલ્મમાં સુનીલ શેટ્ટી વેગડા નામના મહાન યોદ્ધાની ભૂમિકામાં છે, જે સોમનાથના રક્ષણ માટે પોતાના જીવની બાજી લગાવી દે છે. સૂરજ પંચોલી વીર હમીરજી ગોહિલના રોલમાં છે, જે એક પરાક્રમી યોદ્ધા હતા અને આ મહાન યુદ્ધમાં તેમની મહત્ત્વની ભૂમિકા હતી.

વિવેક ઓબેરોય ઝફર ખાન નામના ભયાનક વિલનના રોલમાં છે, જે ગુજરાત પર આક્રમણ કરી સોમનાથ મંદિર લૂંટવા માટે આવે છે. હિતુ કનોડિયા દુધાજીની ભૂમિકામાં છે. આકાંક્ષા શર્માએ આ ફિલ્મથી બોલિવૂડમાં પદાર્પણ કર્યું છે, તે રાજલ નામના પાત્રમાં છે અને સૂરજ પંચોલી સાથે રોમેન્ટિક ભૂમિકામાં જોવા મળે છે.

આ ફિલ્મમાં મહાન યુદ્ધની ઝલક જોવા મળે છે, તલવારબાજી, શસ્ત્રો, ઐતિહાસિક પોશાક અને દમદાર સંવાદો દ્વારા ફિલ્મને રસપ્રદ બનાવવામાં આવી છે. આ પીરિયડ ડ્રામામાં અદભુત સેટ ડીઝાઇન, યુદ્ધના ભવ્ય દ્રશ્યો અને શાનદાર VFXનો સમાવેશ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY