(ANI Photo)

ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ (CDS) અનિલ ચૌહાણે પાકિસ્તાન સામેના ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના યુદ્ધવિમાનને નુકસાન થયું હોવાનું સ્વીકાર્યું હતું, પરંતુ ભારતના છ યુદ્ધવિમાનો તોડી પાડ્યા હોવાના પાકિસ્તાનના દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો હતો. પાકિસ્તાન સામેના ચાર દિવસના ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય આર્મીને થયેલા નુકસાનની ટોચ લશ્કરી વડાની આ પ્રથમ સ્પષ્ટ સ્વીકૃતિ છે.

જનરલ ચૌહાણના નિવેદન પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે ભારત-પાકિસ્તાન સંઘર્ષ અંગે દેશને ગેરમાર્ગે દોરવાનો સરકાર પર આક્ષેપ કર્યો હતો અને તાત્કાલિક સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી હતી. X પરની એક પોસ્ટમાં ખડગેએ કહ્યું હતું કે તેમનો પક્ષ કારગિલ સમીક્ષા સમિતિની જેમ સ્વતંત્ર નિષ્ણાત સમિતિ દ્વારા ભારતની સંરક્ષણ તૈયારીઓની વ્યાપક સમીક્ષાની માંગ કરે છે.

બ્લૂમબર્ગ ટીવીને આપેલા ઇન્ટરવ્યુમાં જનરલ ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિમાન શા માટે ગુમાવવું પડ્યું તે શોધવું વધુ મહત્વપૂર્ણ છે અને ભારતીય સૈન્યે સમસ્યામાં સુધાર્યા કર્યા પછી વળતો પ્રહાર કર્યો હતાં. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે સંખ્યાના સંદર્ભમાં નુકસાનનો ઉલ્લેખ કરવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ સ્પષ્ટપણે એ હકીકત તરફ ધ્યાન દોર્યું હતું કે ભારતીય સૈન્યે પાકિસ્તાની ક્ષેત્રમાં ખૂબ જ ચોકસાઈથી હુમલા કર્યા હતાં.

હાલમાં સિંગાપોરની મુલાકાતે ગયેલા જનરલ ચૌહાણે જણાવ્યું હતું કે મને લાગે છે કે જેટ તોડી પાડવામાં આવ્યું તેમહત્વનું નથી, પરંતુ તે શા માટે તોડી પાડવામાં આવ્યું તે મહત્વનું છે. જનરલ ચૌહાણને સવાલ કરાયો હતો કે પાકિસ્તાન સામેની લશ્કરી કાર્યવાહી દરમિયાન ભારતે યુદ્ધવિમાનો ગુમાવ્યા હતા કે નહીં. તેમણે જણાવ્યું હતું કે સારી બાબત એ છે કે અમે જે વ્યૂહાત્મક ભૂલો કરી હતી તે સમજી શક્યા અને તેને સુધારી શક્યાં. આના બે દિવસ પછી તેને ફરીથી અમલમાં મૂકી શક્યા અને લાંબા અંતરના ટાર્ગેટ રાખીને અમારા તમામ જેટે ફરીથી ઉડાન ભરી હતી. ઓપરેશન સિંદૂર દરમિયાન છ ભારતીય જેટ વિમાનોને તોડી પાડ્યા હોવાના પાકિસ્તાનના દાવા વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે આ દાવો બિલકુલ ખોટો છે.

અગાઉ 11મેએ ભારતીય યુદ્ધવિમાનો તોડી પાડ્યા હોવાના પાકિસ્તાનના દાવા અંગેના સવાલના જવાબમાં ભારતીય હવાઇદળના ડાયરેક્ટર જનરલ ઓફ એર ઓપરેશન્સ એર માર્શલ એકે ભારતીએ સ્વીકાર્યું હતું કે નુકસાન એ યુદ્ધનો એક ભાગ છે અને તમામ IAF પાઇલટ્સ સુરક્ષિત રીતે ઘરે પાછા ફર્યા હતાં.

 

LEAVE A REPLY