આગામી ફિલ્મ 'નિયત'ના પ્રમોટર દરમિયાન એક્ટ્રેસ વિદ્યા બાલન અને અન્ય કલાકારો (ANI Photo)
ચારેક વર્ષના અંતરાલ પછી વિદ્યા બાલનની ફિલ્મ ‘નિયત’ થીયેટરોમાં રજૂ થઇ છે. આ ફિલ્મની સ્ટોરીની શરૂઆત ભાગેડુ અબજોપતિ ઉદ્યોગપતિ આશિષ કપૂર (રામ કપૂર)થી થાય છે. ભારતીય બેંકોમાંથી કરોડો રૂપિયાની લોન લઈને આ બિઝનેસમેન દેશમાંથી ફરાર થઇ જાય છે અને સ્કોટલેન્ડના બીચ પર તેના ખાસ મિત્રો સાથે તેનો જન્મ દિવસ ઉજવવાની યોજના બનાવે છે.
તેના નજીકના મિત્રોમાં શ્રેષ્ઠ મિત્ર સંજય સૂરી (નીરજ કબી), તેની પત્ની નૂર સૂરી (દીપાનિતા શર્મા), તેમનો પુત્ર, સાળો જીમી (રાહુલ બોઝ), ટેરો કાર્ડ રીડર ઝારા (નિકી વાલિયા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ત્યાં લિસા (શહાના ગોસ્વામી), ડ્રગ એડિક્ટ પુત્ર રિયાન (શશાંક અરોરા), રિયાનની ગર્લફ્રેન્ડ જીજી (પ્રાજક્તા કોલી) અને ભત્રીજી સાશા (ઈશિકા મહેરા) પણ હોય છે. તે આ મહેમાનોને હોસ્ટ કરવા માટે ઇવેન્ટ મેનેજર તનવીર (દાનેશ રાજવી) અને તેની સેક્રેટરી (અમૃતા પુરી)ની નિમણૂક કરે છે.
આશિષ કપૂરના આ મિત્રો અને પરિવારની વચ્ચે સીબીઆઈ ઓફિસર મીરા રાવ (વિદ્યા બાલન)ની બીચ પરના તેના આલીશાન વિલામાં એન્ટ્રી થાય છે અને તેના આગમન પછી બધાને ખબર પડે છે કે આશિષ પોતાની જાતને મીરા દ્વારા ભારત સરકારને સોંપવા જઈ રહ્યો છે અને તે માટે તેણે પોતાનું મન પણ બનાવી લીધું છે. પરંતુ, આ સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે આશિષ તેના જ જન્મ દિવસની ઉજવણી દરમિયાન મૃત્યુ પામે છે. ઝારા તેને આત્મહત્યા કહે છે, જ્યારે મીરા રાવ માને છે કે આશિષની હત્યા કરવામાં આવી છે.
મીરા તપાસ શરૂ કરે છે અને તે પછી ત્યાં હાજર દરેક વ્યક્તિ શંકાના દાયરામાં આવે છે. દિગ્દર્શક અનુ મેનને પ્રથમવાર મર્ડર મિસ્ટ્રી ફિલ્મ બનાવી છે. હત્યાના રહસ્યનો સૌથી મજબૂત મુદ્દો તેની સ્ટોરી અને ટ્વિસ્ટ છે. સસ્પેન્સ અને થ્રિલર ફિલ્મોના શોખીનોને વિદ્યા બાલનની ફિલ્મ ‘નિયત’ જોવાની મજા આવશે.

LEAVE A REPLY

1 × 1 =