
ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ બુધવાર, 8 એપ્રિલે વોશિંગ્ટનમાં ભારત-અમેરિકા વેપાર સુવિધા પોર્ટલ લોન્ચ કર્યું હતું. અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે આવેલા મિસરીએ એક વર્ચ્યુઅલ કાર્યક્રમમાં આ પોર્ટલ લોન્ચ કર્યું હતું.
આ કાર્યક્રમમાં અમેરિકામાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રા અને બંને દેશોના અધિકારીઓ અને વેપાર પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં. આ પ્રસંગે મિસરીએ જણાવ્યું હતું કે આ પોર્ટ એક સેતુ તરીકે કામ કરશે તથા હાલની સપ્લાય ચેઇનને મજબૂત બનાવશે તથા નવી કોમર્શિયલ જોડાણ ઊભા કરશે.
વીડિયો સંદેશમાં વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે ભારત અને અમેરિકાના નિકાસકારો તથા વ્યવસાયોને દ્વિપક્ષીય વેપાર વધારવા માટે આ પોર્ટલનો વધુ ઉપયોગ કરવાની અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે દ્વિપક્ષીય વેપાર 500 અબજ ડોલરના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે, જે બંને દેશોએ નક્કી કરેલો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક છે. આ પોર્ટલ સ્થાનિક સર્વિસ નિકાસકારો માટે અમેરિકા સુધી પહોંચવાનું સરળ બનાવશે. આનાથી પંજાબના ખેડૂતથી લઈને સુરતના જ્વેલર, બેંગલુરુના સોફ્ટવેર નિષ્ણાતથી લઈને તેલંગાણાની ફાર્મા કંપનીઓ સુધી દરેકને તકો આપશે.
મિસરીએ ન્યુયોર્કમાં ભારતના કાઉન્સ્યુલેટ જનરલના પ્રયાસોની પ્રશંસા કરી હતી, જેમણે વિવિધ હિતધારકો, એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ, ઉદ્યોગ સંસ્થાઓ અને બંને દેશોના સરકારી વિભાગો સાથે મળીને આ પોર્ટલ તૈયાર કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે “છેલ્લા એક વર્ષમાં જ આપણો દ્વિપક્ષીય વેપાર 241 અબજ ડોલર સુધી પહોંચ્યો છે, જે ચોથા સતત વર્ષ માટે અમેરિકા ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર બન્યો છે. અનેક B2B પ્લેટફોર્મ પહેલેથી જ કાર્યરત છે, પરંતુ ખાસ India-US પ્લેટફોર્મ આ ભાગીદારીની સંપૂર્ણ ક્ષમતાને બહાર લાવશે.













