અમદાવાદ-લંડન ફ્લાઇટ દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું નિધન થયું હતું. રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ 68 વર્ષીય રૂપાણી 7 ઓગસ્ટ, 2016થી 11 સપ્ટેમ્બર, 2021 સુધી બે કાર્યકાળ માટે મુખ્યપ્રધાન રહ્યાં હતાં. તેઓ હાલમાં પંજાબ માટે ભાજપના પ્રભારી હતા. તેઓ 2006થી 2012 સુધી રાજ્યસભાના સભ્ય હતાં.
કેન્દ્રીય જળ શક્તિ પ્રધાન અને પાર્ટીના રાજ્ય એકમના વડા પાટિલએ પત્રકારોને જણાવ્યું હતું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. મારુ હૃદય પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદન વ્યક્ત કરે છે. અમે આ દુર્ઘટનામાં બે વખતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગુમાવ્યા છે, જે ભાજપ પરિવાર માટે ખૂબ જ દુઃખદ સમાચાર છે
રાજ્ય ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે વિજય રૂપાણી એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા લંડન જઈ રહ્યાં હતાં.
વિજયભાઈ રમણીકલાલભાઈ રૂપાણી ભાજપના વરિષ્ઠ નેતા હતા. તેમણે 2016થી 2021 સુધી ગુજરાતના 16મા મુખ્યપ્રધાન તરીકે સેવા આપી હતી. તેઓ રાજકોટ પશ્ચિમ મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય પણ હતા. રૂપાણીના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે. આ દંપતીએ અગાઉ એક અકસ્માતમાં તેમના સૌથી નાના પુત્ર, પુજીતને ગુમાવ્યો હતો. તેની યાદમાં તેમણે પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટની સ્થાપના કરી હતી, જે વિવિધ સખાવતી પહેલ પર કામ કરે છે. વિજય રૂપાણીનો જન્મ માયાબેન અને રમણીકલાલ રૂપાણીને ત્યાં, મ્યાનમારના યાંગોનમાં જૈન વાણિયા પરિવારમાં થયો હતો
