અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને ટાટા ગ્રુપ રૂ.1 કરોડની સહાય આપશે. ટાટા ગ્રુપને ઘાયલોની સારવારનો ખર્ચ ઉઠાવવાની અને દુર્ઘટનામાં નુકસાન પામેલી અમદાવાદની બીજે મેડિકલના છાત્રાલયના નિર્માણમાં સહાય પૂરી પાડવાની પણ જાહેરાત કરી હતી.
ટાટા ગ્રુપ અને એર ઈન્ડિયાના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, “આ ક્ષણે આપણે જે દુઃખ અનુભવી રહ્યા છીએ તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. અમારી સંવેદના અને પ્રાર્થનાઓ એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને જેઓ ઘાયલ થયા છે.એર ઇન્ડિયા ફ્લાઇટ ૧૭૧ સાથે જોડાયેલી દુ:ખદ ઘટનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે. ટાટા ગ્રુપ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને 1 કરોડ રૂપિયા આપશે.
ટાટા ગ્રુપ દ્વારા X પર પોસ્ટ કરાયેલા સંદેશમાં, તેમણે એમ પણ કહ્યું હતું કે ગ્રુપ ઘાયલોના તબીબી ખર્ચ માટે પણ સહાય આપશે. તેમને તમામ જરૂરી સંભાળ અને સહાયની ખાતરી પણ કરશે. વધુમાં અમે બીજે મેડિકલના છાત્રાલયના નિર્માણમાં સહાય પૂરી પાડીશું.
