ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથ (Photo by PEDRO UGARTE/AFP via Getty Images)

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના ભારતીય મૂળના હાઇ પ્રોફાઇલ ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથને મોટું પ્રમોશન આપવામાં આવ્યું અને તેઓ હવે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર બન્યા છે. આઈએમએફમાં આ બીજા નંબરનું સૌથી મોટું પદ છે. ગીતા ગોપીનાથ 21 જાન્યુઆરી 2022થી આ નવો કાર્યભાર સંભાળશે, એવી વોશિંગ્ટન સ્થિત આઇએમએફએ ગુરુવારે જાહેરાત કરી હતી.

હાલના ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર જોફરે ઓકામોટોએ આગામી વર્ષના પ્રારંભમાં આ પદ છોડવાની જાહેરાત કરી હતી. ભારતીય મૂળની કોઈ વ્યક્તિ આ હોદ્દા પર પહેલી વખત પહોંચી છે. ગીતા ગોપીનાથ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ છોડવા માંગતા હતા. તેમનો વિચાર આગામી વર્ષથી ફરી હાર્વર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભણાવવાનો હતો પણ હવે તેઓ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ સાથે જ જોડાયેલા રહેશે.

ગીતા ગોપીનાથ અમેરિકાના સિટિઝન છે. તેમનો જન્મ 8 ડિસેમ્બર 1971ના રોજ ભારતના કલકતામાં થયો હતો. તેમણે મૈસૂરની કોલેજમાં  સાયન્સનો અભ્યાસ કર્યો હતો. આ પછી તેમણે ઈકોનોમિક્સ વિષય સાથે બીએની ડિગ્રી મેળવી હતી. દિલ્હીની જાણીતી લેડી શ્રી રામ કોલેજમાં તેમણે ઈકોનોમિક્સમાં ઓનર્સની ડિગ્રી પણ મેળવી હતી. એ પછી દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ઈકોનોમિક્સની માસ્ટર ડિગ્રી મેળવી હતી .1994માં તેમણે વોશિંગ્ટન યુનિવર્સિટી જોઈન કરી હતી. 1996 થી 2001 સુધી તેમણે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સમાં પીએચડી કરી હતી.

આ દરમિયાન તેમની મુલાકાત ઈકબાલ ધાલીવાલ સાથે થઈ હતી. બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. તેમને 18 વર્ષનો એક પુત્ર છે. જેનુ નામ રાહિલ છે. 2001 થી 2005 સુધી તેઓ શિકાગો યુનિવર્સિટીમાં અધ્યાપક હતા અને બાદમાં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસરની નોકરી સ્વીકારી હતી.ગીતા ગોપીનાથે ઈકોનોમિક્સ અને નાણાકીય બાબતો પર 40 રિસર્ચ પેપર પણ લખ્યા છે. ગીતા ગોપીનાથે મોદી સરકારના નોટબંધીના નિર્ણયને પણ નકારાત્મક ગણાવ્યો હતો.જોકે મોદી સરકારના કૃષિ કાયદાના તેમણે વખાણ કર્યા હતા.