(PTI Photo)

લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં શુક્રવાર, 26 એપ્રિલે 13 રાજ્યોની 88 બેઠકો પર એકંદરે 60.96 ટકા મતદાન થયું હતું. બીજા તબક્કાની ચૂંટણીમાં કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખર (તિરુવનંતપુરમ), ભાજપના તેજસ્વી સૂર્યા (કર્ણાટક), હેમા માલિની અને અરુણ ગોવિલ (બંને ઉત્તરપ્રદેશ), કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી (વાયનાડ) અને શશિ થરૂર (તિરુવનંતપુરમ), કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન ડી. કે. શિવકુમારના ભાઈ ડીકે સુરેશ (કોંગ્રેસ), કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામી (જેડીએસ) સહિતના દિગ્ગજ ઉમેદવારોના રાજકીય ભાવિ ઇવીએમમાં સીલ થયા હતાં.

2019ની ચૂંટણીમાં NDAને આ 88 બેઠકોમાંથી 56 અને યુપીએને 23 બેઠકો મળી હતી. આમાંથી છ બેઠકોનું ફરી સીમાંકન થયું છે. આમ બીજા રાઉન્ડની ચૂંટણી ભાજપ માટે મહત્ત્વપૂર્ણ બની રહેશે.ગયા શુક્રવારે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીના પ્રથમ તબક્કામાં લગભગ 65.5 ટકા મતદાન થયું હતું.

શુક્રવારે બીજા રાઉન્ડમાં કેરળની તમામ 20 બેઠકો, કર્ણાટકની 28 બેઠકોમાંથી 14, રાજસ્થાનની 13 બેઠકો, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશની 8-8 બેઠકો, મધ્યપ્રદેશની 7 બેઠકો, આસામ અને બિહારની 5-5 બેઠકો, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળની  3-3 બેઠકો પર મતદાન થયું હતું. આ ઉપરાંત મણિપુર, ત્રિપુરા તથા જમ્મુ અને કાશ્મીરમાં 1-1 બેઠકો પર લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. શુક્રવારના મતદાન પછી  કેરળ, રાજસ્થાન અને ત્રિપુરાની તમામ લોકસભા બેઠકો મતદાન પૂર્ણ થયું હતું.

ચૂંટણીપ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રએ રવિવારે રાજસ્થાનના બાંસવાડામાં એક રેલીને સંબોધિત કરતી વખતે આક્ષેપ કર્યો હતો કે વિરોધી પક્ષો મહેનતના પૈસા અને કીમતી વસ્તુઓ  ઘૂસણખોરો અને વધુ બાળકો ધરાવતા લોકોમાં વિતરણ કરવાનું આયોજન કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની એવી ટીપ્પણીનો ઉલ્લેખ પણ કર્યો હતો કે દેશના સંસાધનો પર મુસ્લિમોનો પ્રથમ હક છે.

મોદીના આક્ષેપનો જવાબ આપતા કોંગ્રેસે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં નિરાશાનો સામનો કર્યા પછી વડાપ્રધાન લોકોને વાસ્તવિક મુદ્દાઓથી બીજે વાળવા માટે જૂઠ્ઠાણા અને દ્વેષપૂર્ણ ભાષણનો આશરો લઈ રહ્યા છે. પાર્ટીએ ચૂંટણી પંચને મોદી વિરુદ્ધ તેમની ટિપ્પણી માટે પગલાં લેવાનો અનુરોધ કર્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે મોદીની આ ટીપ્પણી વિભાજનકારી છે અને ચોક્કસ ધાર્મિક સમુદાયને નિશાન બનાવે છે. જોકે બીજા દિવસે મોદીએ ફરીથી કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે જો તે સત્તામાં આવશે તો લોકોની સંપત્તિનું પુનઃવિતરણ કરવાની યોજના બનાવી રહી છે

 

 

LEAVE A REPLY

two × 5 =