(ANI Photo)

ગુજરાતમાં રવિવારે કોરોનાના નવા 6,275 કેસ નોંધાયા હતા. અમદાવાદ અને સુરતમાં પણ નવા કેસોના આંકડા ચિંતાજનક રહ્યાં હતા. અમદાવાદમાં રવિવારે 2,877 અને સુરતમાં 1,696 કેસ નોંધાયા હતા. રાહતની વાત એ છે કે, રાજ્યમાં ઓમિક્રોનના કોઈ નવા કેસ નોંધાયા નથી અને કોઈ મૃત્યુ પણ થયું નથી. ગુજરાતમાં ઓમિક્રોનના કેસની સંખ્યા 236 હતી.

રાજ્યના આરોગ્ય વિભાગના રવિવાર સાંજના ડેટા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસોમાં અમદાવાદ શહેરમાં 2,487 કેસ, સુરત શહેરમાં 1,696 કેસ, વડોદરા શહેરમાં 347 કેસ, રાજકોટ શહેરમાં 194, ગાંધીનગરમાં 153, ભાવનગરમાં 98, જામનગરમાં 49, જુનાગઢમાં 45 કેસ નોંધાયા હતા.

કોરોનાનો રિકવરી રેટ ઘટીને 95.59 ટકાએ થયો હતો. રાજ્યમાં કુલ 27,913 નાગરિકો એક્ટિવ કેસ હતા. જે પૈકી 26 નાગરિકો વેન્ટીલેટર પર હતા. 27,887 નાગરિકો સ્ટેબલ હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 10128 નાગરિકોનાં મોત થયાં છે.