છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં ૬૧૫૦ ટેસ્ટ કરાયા છે અને એમાં અમદાવાદ ઉપરાંત સુરતમાં ગ્રામ્ય વિસ્તારમાંથી છ સહિત કુલ ૫૫ નવા કેસ, વડોદરામાં ૩૪, ગાંધીનગરમાંથી ૧૩, સુરેન્દ્રનગરમાં ૫, બનાસકાંઠા, રાજકોટ અને વલસાડમાંથી ૪-૪, પંચમહાલ અને ખેડામાં ૩-૩, મહેસાણા, ભરૂચ, સાબરકાંઠામાં ૨-૨, અરવલ્લી, પાટણ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, અમરેલી અને અન્ય રાજ્યના એક-એક કેસ ઉમેરાયા છે. સોમવારથી અમદાવાદ મોટાભાગે પૂર્વવત્ થવા જઇ રહ્યું છે.

હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, મોલ્સ ૮ જૂનથી ખુલશે એ સિવાય મોટાભાગની ઓફિસ, સરકારી કચેરીઓ, બેંકો, સિટી બસ સેવા ધમધમતાં થશે અને લોકો મોટી સંખ્યામાં બહાર નીકળશે. આને કારણે હવે સોશીયલ ડિસ્ટન્સિંગનો અનેક સ્થળે સરેઆમ ભંગ થશે. આ સ્થિતિ સૌથી ગંભીર બનશે એમ તબીબી જગતના લોકોનું માનવું છે. પરંતુ કોરોના વાયરસ સાથે જીવવાની આદત કેળવી આર્થિક પ્રવૃત્તિઓને પણ આગળ પડે એ વાતનો તેઓ સ્વીકાર કરે છે.

જોકે, મહાનગરોમાંથી ચેપ હવે ધીમે ધીમે ગામડાઓમાં પહોંચ્યો છે. અમદાવાદના સંક્રમિત વિસ્તારો ઉપરાંત ધોળકા, સાણંદ અને બોપલના બિનોરી પાર્ક અને જેપી પાર્ક તેમજ સફલ પરિસરમાંથી મળી કુલ આઠ નવા કેસ ઉમેરાયા છે. મહાનગરમાં ૨૯૧ કેસ અને ૨૦ દર્દીના મૃત્યું નોંધાયા છે.

સુરતમાં કામરેજ, પલસાણા, માંગરોળ જેવા ગ્રામ્ય વિસ્તારમાંથી છ મળી મહાનગરમાં નવા ૪૯ કેસ નોંધાયા છે. અહીં પણ અનલોક-૧નો અમલ સોમવારથી ચાલુ થઇ રહ્યો છે. કાપડ માર્કેટ, ડાયમંડ, જરી માર્કેટ ધમધમતાં થવાના છે. વડોદરામાં ગ્રામ્ય વિસ્તારની સાથોસાથ શહેરના નવા વિસ્તારમાંથી કેસ નોંધાયા છે. જોકે, સરકારે હવે રહેણાંક વિસ્તારોને કન્ટેમેન્ટ જાહેર કરવાને બદલે કેસના આધારે માઇક્રો કન્ટેન્ટમેન્ટ એરિયા જાહેર કરી બાકીના વિસ્તારો ખોલવાનો નિર્ણય કર્યો છે.

અમરેલીમાં ગજેપરાના વૃદ્ધ થોડા સમય પહેલાં જ અમદાવાદથી આવ્યા હતા તેમનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યું થતાં જિલ્લાનું પહેલું મૃત્યું નોંધાયું છે. આ જ રીતે જામનગરમાં વધુ એક મૃત્યું ઉમેરાયું છે. મહેસાણામાં ભાજપના નેતા સહિત બે જણાને ચેપ લાગ્યો છે. રાજકોટના માધાપરમાં પેરા મેડિકલ કર્મચારીમાં ચેપ મળી આવ્યો છે. વલસાડમાં અતુલ-જી કોલોની અને ઉમરગાવમાંથી બે બે કેસ મળ્યા છે.

અરવલ્લીમાં મોડાસામાંથી વધુ એક કેસ નોંધાયો છે અને અહીં એક દર્દીનું અવસાન થયું છે. પંચમહાલના સંક્રમિત વિસ્તારોમાંથી વડોદરા સારવાર લેતાં ત્રણ દર્દીના મૃત્યુંથી હાહાકાર મચ્યો છે. આમ, રાજ્યમાં ૨,૧૧,૯૩૦ ટેસ્ટ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૬૭૯૪ પોઝિટિવ કેસ મળ્યા છે એમાંથી છેલ્લા ચોવીસ કલાકમાં ૬૮૯ દર્દીઓ ડિસ્ચાર્જ થતાં કુલ આંક ૯૯૧૯ સુધી પહોંચ્યો છે. આ સિવાય ૧૦૩૮ દર્દીઓના મૃત્યું થયા છે. આમ, હાલ ૫૮૭૭ એક્ટિવ દર્દીઓમાંથી ૬૧ વેન્ટીલેટર ઉપર તેમજ ૫૭૬૬ દર્દી સ્ટેબલ છે.