રાજ્યના કાયદા અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ધોળકા વિધાનસભાની ચૂંટણીની જીત હાઇકોર્ટના જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે રદ કરતાં તેમને મોટો ઝાટકો આપ્યો છે. વર્ષ 2017ની વિધાનસભાની ધોળકા બેઠક પરથી ચૂંટણી જીતવા માટે ચુડાસમાએ તમામ ગેરરીતિ આચરી હોવાનું અને ભ્રષ્ટ આચરણ કર્યાનું હાઇકોર્ટે અત્યંત ગંભીર અવલોકન કર્યું છે.

એટલું જ નહીં તત્કાલીન ચૂંટણી અધિકારી ધવલ જાની, ચુડાસમાના પીએ મહેતાજીએ મોટી ગેરરીતિ કરી હોવાનું અને ચૂંટણીપંચના દિશાનિર્દેશોનો ઉલ્લંઘન કર્યાનું નોંધી જસ્ટિસ ઉપાધ્યાયે ચુડાસમાની જીતને રદબાતલ ઠેરવી દીધી છે. સૂત્રોથી મળતી માહિતી મુજબ ચુડાસમા દ્વારા હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટ સમક્ષ પડકારવામાં આવશે.

આ કેસની હકીકત એવી છે કે વર્ષ 2017માં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી અને 18મી ડિસેમ્બરના રોજ તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. ધોળકા બેઠક પરથી ભૂપેન્દ્રસિંહ 327 મતના અંતરથી જીત્યા હતા. એમાં પણ રિટર્નિંગ ઓફિસરે 429 પોસ્ટલ બેલેટ્સ રદ કર્યા હતાં. આ રદ થયેલાં બેલેટ્સ જીતના 327 મતોથી વધારે હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેથી આ બેઠક પરથી હારેલા કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન(EP) કરી હતી.

અરજદારની રજૂઆત હતી કે,‘429 પોસ્ટલ બેલેટ્સ રિટર્નિંગ અધિકારીએ રદ કર્યા હતાં, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર બાબત હતી. જેના લીધે જ ચૂડાસમા ચૂંટણીમાં વિજેતા બન્યા હતાં. ધોળકાના ડેપ્યુટી કલેક્ટર ગૌરાંગ પ્રજાપતિ હતાં અને તેઓ રિટર્નિંગ ઓફિસર તરીકે કાર્ય કરવાના હતાં. પરંતુ આચારસંહિતા અમલમાં આવ્યા બાદ તેમને હટાવીને તેમના બદલે ધવન જાનીને મૂકવામાં આવ્યા હતાં.

આ તમામ કાર્યવાહી ભૂપેન્દ્રસિંહની ચૂંટણીમાં જીતને સુનિશ્ચિત કરવાના ભાગરૂપે કરાઇ હતી. તે ઉપરાંત ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સીધી સુચના હતી કે EVMના મતોની ગણતરી પહેલાં પોસ્ટલ બેલેટ્સની ગણતરી થવી જોઇએ, પરંતુ તેનો અમલ પણ કરવામાં આવ્યો નહોતો. અલબત્ત, બંને ઉમેદવારો વચ્ચે નજીવું અંતર હોવાની જાણકારી થયાં બાદ EVMના મતો બાદ પોસ્ટલ બેલેટ્સ ગણવામાં આવ્યાં હતાં.’