Heavy Rain in HimachalParadesh
હિમાચલપ્રદેશના મંડીમાં શનિવાર, 20 ઓગસ્ટે ભારે વરસાદથી એક બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. (ANI Photo/ ANI Pic Service)

ઉત્તર અને પૂર્વ ભારતના અનેક રાજ્યોમાં મૂશળધાર વરસાદને કારણે આવેલા અચાનક પૂર અને ભૂસ્ખલનથી રવિવાર (21 ઓગસ્ટ) સુધીના ત્રણ દિવસમાં ઓછામાં ઓછા 55 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ફસાયા હોવાની આશંકા હતા. આ કુદરતી આપત્તિથી હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ અને ઓડિશામાં મોટાભાગના મોત થયા હતા. આ ત્રણેય રાજ્યો હાલમાં કુદરતી કેરનો સામનો કરી રહ્યાં છે.

ઓડિશામાં ભારે વરસાદથી ઓછામાં ઓછા છ લોકોના મોત. ઓડિશામાં પૂરથી આઠ લાખ લોકો પ્રભાવિત અને હજારો લોકો વિસ્થાપિત બન્યા હતા.ઓડિશામાં વરસાદને કારણે વીજળી અને પાણીનો સપ્લાયમાં અવરોધ, રાજ્યમાં અત્યાર સુધી 120,000 લોકોને બચાવાયા હતા. હિમાચલપ્રદેશમાં છેલ્લાં ત્રણ દિવસમાં ઓછામાં ઓછા 36 લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઘરોમાંથી વિસ્થાપિત થઈને રાહત શિબિરોમાં શરણ લીધું હતું ઉત્તરાખંડમાં શનિવારે વાદળો ફાટવાની ઘટનામાં ચાર લોકોના મોત અને 13 લોકો લાપતા. નદીઓ તોફાની બનતા ઘણા ઘરો પાણીમાં ધોવાઈ ગયા હતા.

હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદથી સેંકડો ગામો તબાહ થયા હતા. માટીના ઘરો ધોવાઈ ગયા હતા અને સડકો પર પાણી ભરાઈ ગયા હતા. ભારતીય હવામાન વિભાગે રવિવારે આગાહી કરી છે કે આગામી બે દિવસમાં આ ક્ષેત્રોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હિમાચલપ્રદેશમાં ભારે વરસાદને કારણે આવેલા અચાનક પૂર અને ભૂસ્ખલથી લાપતા થયેલા પાંચ લોકોનો રવિવારે પણ કોઇ પતો મળ્યો ન હતો. રાજ્યમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 22 લોકોના મોત થયા હતા અને 12 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સૌથી વધુ નુકસાન મંડી, કાંગરા અને ચંબા જિલ્લામાં થયું છે.

હિમાચલપ્રદેશમાં શનિવારે વાદળો ફાટવાની ઘટના પછી અનેક પરિવારો બાગી અને ઓલ્ડ કટોલા વિસ્તારમાં પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થાનો પર પહોંચ્યા હતા. શોધી અને તારાદેવી નજીક આવેલા સોનૂ બંગલામાં ભૂસ્ખલ બાદ શનિવાર સાંજે શિમલા-ચંદીગઢ હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. જોકે હવે હાઇવે પર વાહનોની અવરજવરને છૂટ આપવામાં આવી છે.

બીજી તરફ ઉત્તરાખંડના દહેરાદૂન, ટિહરી અને પૌડી વિસ્તારામાં બચાવ દળોએ રવિવારે પણ શોધખોળ અને રાહત અભિયાન ચાલુ રાખ્યું હતું. આ વિસ્તારોમાં 24 લોકોને બચાવી લેવાયા હતા, જ્યારે 12 લોકો હજુ પણ લાપતા છે. અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ દહેરાદૂન, પોડી અને ટિહરીમાં શનિવારે ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે ચાર લોકોના મોત થયા હતા અને 12 લોકો લાપતા બન્યા હતા.

ઓડિશાના બાલાસોર અને મયૂરગંજ જિલ્લા વહીવટીતંત્રે સુવર્ણરેખા અને વૈતરણી નદીમાં આવેલા પૂરનો સામનો કરવા માટે નીચાણવાળા વિસ્તારોમાં મોટાભાગે લોકોનું સ્થળાંતર હાથ ધર્યું હતું. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં અગાઉથી ભારે વરસાદને કારણે મહાનદીમાં પૂર આવેલું છે.

ઓડિશાના બાલાસોર અને મયૂરગંજ જિલ્લાના સત્તાવાળાએ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું અભિયાન હાથ ધર્યું હતું. આ વિસ્તારની મુખ્ય બે નદીઓ સુવર્ણરેખા અને વૈતરણી નદીઓ વોર્નિંગ લેવરથી ઉપર વહી રહી છે. આ બંને જિલ્લામાં એનડીઆરએફ, ઓડીઆરએએફ અને ફાયર સર્વિસની 58 રેસ્ક્યુ ટીમોને તૈનાત કરવામાં આવી હતી.

અનરાધાર વરસાદને કારણે ઓડિશામાં અગાઉથી મહાનંદી નદીમાં પૂર આવેલું છે. તેનાથી સાત લાખ લોકો પ્રભાવિત થયા છે. 763 ગામડા પૂરમાં ગરકાવ થયા છે અને તેમાં આશરે 5 લાખ લોકો ફસાયા છે. સ્પેશ્યલ રીલિફ કમિશનર પ્રદીપ કે જૈનાએ જણાવ્યું હતું કે ભદ્રક અને જાજપુર જિલ્લામાં પણ રાહત અને બચાવની વ્યવસ્થા કરવામાં આવી છે. રવિવારે મુખ્યપ્રધાન નવીન પટનાયકે બાલાસોર જિલ્લાના કલેક્ટરને સ્પેશ્યલ રીલિફ કમિશનરની સત્તા આપી હતી, જેથી સ્થાનિક વહીવટીતંત્રને વધુ અસરકારક બનાવી શકાય. ઇમર્જન્સીનો સમનો કરવા માટે એક હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યું હતું.