પ્રાચીન ભારતીય મહાગ્રંથ રામાયણ પર આધારિત ભવ્ય નાટ્ય નિર્માણ ‘હમારે રામ’ આ સમરમાં યુકે આવી રહ્યું છે અને 9 થી 12 જુલાઈ 2026 દરમિયાન હેમરસ્મિથના આઇકોનિક ઇવેન્ટિમ એપોલોમાં રજૂ થશે. ખૂબ જ અપેક્ષિત શો બ્રિટનના સાઉથ એશિયન સમુદાય અને થિયેટર પ્રેમી પ્રેક્ષકોને મોટી સંખ્યામાં આકર્ષે તેવી અપેક્ષા છે.

ઝી એન્ટરટેઈનમેન્ટ યુકે દ્વારા ફેલિસિટી થિયેટર સાથે મળીને રજૂ થનાર આ નિર્માણ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવાસ કરવા માટે સૌથી મહત્વાકાંક્ષી ભારતીય નાટ્ય પ્રસ્તુતિઓમાંનું એક છે. આયોજકો કહે છે કે આ શોમાં શક્તિશાળી વાર્તા કહેવા ઉપરાંત વિસ્તૃત સ્ટેજ ડિઝાઇન, સંગીત અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સાથે મિશ્રિત કરવામાં આવ્યું છે જેથી આધુનિક પ્રેક્ષકો માટે કાલાતીત મહાગ્રંથ રામાયણને જીવંત બનાવી શકાય.

આ નિર્માણનું નિર્દેશન પ્રખ્યાત થિયેટર નિર્દેશક ગૌરવ ભારદ્વાજ દ્વારા કરવામાં આવ્યું છે અને થિયેટર નિર્માતા અને અભિનેતા રાહુલ આર. ભૂચર દ્વારા લેખક નરેશ કાત્યાયન સાથે લખવામાં આવ્યું છે. કલાકારોમાં રાવણની શક્તિશાળી ભૂમિકામાં પ્રખ્યાત ભારતીય અભિનેતા આશુતોષ રાણા છે, જ્યારે ભૂચર પોતે ભગવાન રામનું પાત્ર ભજવે છે.

‘હમારે રામ’ રામાયણને માત્ર પૌરાણિક કથા તરીકે જ નહીં, પણ ફરજ, ન્યાય અને બલિદાનની ઊંડી માનવીય વાર્તા તરીકે પણ રજૂ કરે છે. આ નિર્માણ તેના મુખ્ય પાત્રોની ભાવનાત્મક યાત્રાઓનું અન્વેષણ કરે છે અને પ્રાચીન લખાણમાં સમાવિષ્ટ સાર્વત્રિક મૂલ્યો સાથે પ્રેક્ષકોને જોડવાનો હેતુ ધરાવે છે.

સંગીત આ સ્ટેજ શોમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સાઉન્ડટ્રેકમાં શંકર મહાદેવન, સોનુ નિગમ અને કૈલાશ ખેર સહિત ભારતના કેટલાક સૌથી પ્રખ્યાત ગાયકોના યોગદાનનો સમાવેશ થાય છે, જે શોના પ્રદર્શનમાં એક શક્તિશાળી સંગીત પરિમાણ ઉમેરે છે.

ભારતમાં તેના પ્રીમિયર પછી, ‘હમારે રામ’એ નોંધપાત્ર સફળતા મેળવી છે અને વિશ્વભરના 30 શહેરોમાં 450થી વધુ પ્રદર્શન સાથે 800,000થી વધુ પ્રેક્ષકોએ તેને માણ્યું છે. લંડનમાં તેનું પ્રદર્શન આંતરરાષ્ટ્રીય પ્રવાસના મુખ્ય આકર્ષણોમાંનું એક હોવાની અપેક્ષા છે અને મોટા પાયે ભારતીય સ્ટેજ પ્રોડક્શન્સની વધતી જતી વૈશ્વિક લોકપ્રિયતાને પ્રતિબિંબિત કરે છે.

ઝી એન્ટરટેઈનમેન્ટના ટેરિટરી હેડ યુરોપ પારૂલ ગોયલે જણાવ્યું હતું કે “31 વર્ષથી, ઝી યુકેના લાખો લોકો માટે સાંસ્કૃતિક રાજદૂત રહ્યું છે, જે આપણે કોણ છીએ અને ક્યાંથી આવ્યા છીએ તે પ્રતિબિંબિત કરતી વાર્તાઓ દ્વારા પેઢીઓને જોડે છે. આ શોનો હેતુ ભારતીય વારસાની ઉજવણી કરવાનો છે જ્યારે મહાગ્રંથને યુકેમાં યુવા પેઢીઓ અને બહુસાંસ્કૃતિક પ્રેક્ષકો માટે સુલભ બનાવે છે. તેના ભવ્ય સેટ્સ, નાટકીય પ્રદર્શન અને સંગીતમય સ્કોર સાથે, લંડન ડેબ્યૂ સમૃદ્ધ નાટ્ય અનુભવનું વચન આપે છે.’’

લંડનમાં તા. 16 માર્ચ 2026થી શોની ટિકિટો ઇવેન્ટિમ એપોલોની વેબસાઇટ Eventim Apollo | Humare Ram પરથી ખરીદી શકાશે. ઓનલાઈન પ્રી-રજિસ્ટર પ્રેક્ષકોને http://humare-ram.zee5.com વહેલી તકે પ્રવેશ મળશે.

LEAVE A REPLY