પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ન્યૂયોર્કમાં ભારતીય મૂળના યુવકે તેના ભાઈની ગોળી મારી હત્યા કરી હતી અને તેની માતાને ઘાયલ કરી હતી. આ પછી તેને આપઘાત કર્યો હતો. 33 વર્ષીય કરમજીત મુલતાનીએ રિચમન્ડ હિલ ખાતેના ઘરમાં રવિવારે તેના ભાઈ વિપનપાલ (27)ને ગોળી મારી હતી અને બહાર નીકળીને લગભગ બે કિલોમીટર દૂર એક જગ્યાએ પોતાના પર બંદૂકની ગોળી છોડીને આપઘાત કર્યો હતો. આ પરિવાર મૂળ પંજાબના કપૂરથલા જિલ્લાનો હતો.

પોલીસે જણાવ્યું હતું કે ફાયરિંગની ઘટનાનો ફોન આવ્યા પછી પોલીસ આ ઘરમાં ગઈ ત્યારે પોલીસને વિપનપાલ ગોળીબારના અનેક ઘા સાથે બેભાન અવસ્થામાં અને તેમની 52 વર્ષીય માતા પેટમાં ઈજા સાથે મળી આવ્યાં હતાં. આ પછી કરમજીત મુલતાની માથા અને નજીક ભાગોમાં બંદૂકની ગોળી ઘા સાથે સ્ટ્રીટ કોર્નરમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. માતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. માતાની હાલત જોખમુક્ત હોવાનું કહેવાય છે.

રિચમન્ડ હિલમાં એશિયનોની મોટી વસ્તી છે, જેમાંથી મોટા ભાગના ભારત અથવા કેરેબિયન મૂળના ઇન્ડિયન છે. રિચમન્ડ હિલના દક્ષિણ વિસ્તારમાં પંજાબી શીખ સમુદાયની પણ ખાસ્સી વસ્તી છે.

સીબીએસ ન્યૂયોર્કેના રીપોર્ટ મુજબ હુમલાખોરના પિતા ભૂપિન્દર મુલતાનીએ જણાવ્યું હતું કે તેમના મોટા પુત્રીએ આવું પગલું કેમ ભર્યું તેનું કારણ તેઓ જાણતા નથી. બે પુત્રો વચ્ચે કોઇ અણબનાવ હતો કે નહીં તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે કોઇ મોટી સમસ્યા ન હતી. કેટલીકવાર થોડો મતભેદ સર્જાતા હતાં, પરંતુ કોઈ સમસ્યા ન હતી. રાતે લગભગ સાડા દશ વાગ્યે પરિવારના સભ્યો શાંતિથી પિત્ઝા પાર્ટીનો આનંદ માણતા હતાં ત્યાં કરમજીત પોતાની રિવોલ્વર સાથે પરિવારના રૂમમાં ઘૂસ્યો અને કોઇપણ વોર્નિંગ વગર ભાઈ પર ગોળી ચલાવી દીધી હતી. આ પછી તેઓએ પડોશીની મદદ માગી હતી. પડોશીએ તરત જ 911 પર ફોન કરીને પોલીસને બોલાવી હતી. ત્યાર પછી પડોશી અને ભુપિન્દર મુલ્તાની ઘરમાં પાછા ગયા અને જોયું તો ત્યાં વિપનલાલ મુલ્તાની લોહીથી લથબથ હતો અને પોતાને બચાવવા મદદ માગતો હતો. તેમણે કહ્યું કે મહેરબાની કરીને મને જીવાડી દો. મારે મરવું નથી. આ હત્યાકાંડ કરનાર કરમજીત મુલ્તાની ત્રણ બાળકોનો પિતા છે અને કોઇ સમસ્યા હોય તેવું જાણમાં આવ્યું નથી.

LEAVE A REPLY