ચંદ્રયાન-3 મિશનના 'વિક્રમ' લેન્ડર મોડ્યુલને પ્રોપલ્શન મોડ્યુલથી સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યું છે (ANI Photo)

અવકાશ ક્ષેત્રમાં ભારત બુધવાર, 23 ઓગસ્ટે ઇતિહાસ રચવાની નજીક છે. ચંદ્ર પર વિજયપતાકા લહેરાવવા માટે ગયા મહિને રવાના કરેલું ચંદ્રયાન-3 ભારતીય સમય મુજબ બુધવાર સાંજે સોફ્ટ લેન્ડિંગ માટે સજ્જ બન્યું છે. જો ભારતને ઉતરાણમાં સફળતા મળશે તો દેશ અમેરિકા, ચીન, ભૂતપૂર્વ સોવિયેત યુનિયન જેવા દેશોની એલિટ ક્લબમાં સામેવ થશે.

મિશનની સફળતા માટે દેશમાં જ નહીં વિદેશમાં પણ અલગ-અલગ જગ્યાએ હવન અને પૂજાકરવામાં આવી રહ્યા છે. વૈષ્ણોદેવી ગુફામાં આજ સવારથી મિશનની સફળતા માટે પૂજા શરૂ થઈ ગઈ છે. આ પૂજા ચંદ્રયાન-3 લેન્ડ થશે ત્યાં સુધી ચાલુ જ રહેશે. બિક્સ સમીટમાં હાજરી આપવા માટે સાઉથ આફ્રિકાના પ્રવાસે રહેલા વડાપ્રધાન મોદી લાઈવ ઈવેન્ટમાં વર્ચ્યુઅલી જોડાશે. લેન્ડિંગની લાઇવ ઇવેન્ટ સાંજે 5:20 વાગ્યે શરૂ થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલી જોડાશે. અત્યારે તેઓ દક્ષિણ આફ્રિકામાં છે તેથી વર્ચ્યુઅલી જોડાઈ રહ્યા છે.

સત્તાવાર સમય પ્રમાણે સાંજે 6 વાગ્યાની આસપાસ ચંદ્રયાનનું સોફ્ટ લેન્ડિંગ થશે. લેન્ડિંગની છેલ્લી 20 મિનિટ સૌથી વધુ મહત્ત્વની બની રહેશે. અત્યાર સુધીમાં જે અનુભવો થયા છે અને જે નિષ્ફળતા મળી છે તેના પરથી કહી શકાય કે આ લેન્ડિંગમાં છેલ્લી 20 મિનિટ સૌથી વધુ મહત્ત્વની રહેશે. ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ભાગમાં ઉતારવાની યોજના છે જ્યાં અગાઉ ચીન અને રશિયાને નિષ્ફળતા મળી છે. છેલ્લે ભારતનું યાન પણ અહીં નિષ્ફળ ગયું હતું.

ઈસરોના વૈજ્ઞાનિકો બુધવારે ચંદ્રયાનના વિક્રમ લેન્ડરને સહીસલામત ઉતારી શકશે તો ભારત માટે આ મોટી સિદ્ધિ ગણાશે અને ટોચના દેશોમાં સ્થાન પામશે. વિક્રમ લેન્ડર પર પ્રજ્ઞાન રોવર છે જે સાઉથ પોલમાં સંશોધન કરશે.

જુલાઈ મહિનામાં ચંદ્રયાનને અંતરિક્ષમાં રવાના કરવામાં આવ્યું ત્યારે તેમાં કોઈ પણ પ્રકારની ખામી ન હતી. યાને એકદમ પરફેક્ટ ઉડાન ભરી હતી અને હવે લેન્ડિંગ વખતે કસોટી થવાની છે કારણ કે ત્રણ દિવસ અગાઉ જ આ એરિયામાં રશિયાના મૂન મિશન લૂના-25 ધડાકા સાથે તૂટી પડ્યું છે. રશિયાનું યાન ચંદ્રયાન-2 કરતા ત્રણ સપ્તાહ પાછળ રવાના થયું હતું, પરંતુ ઈસરોના યાન કરતા વહેલું પહોંચી ગયું હતું. ચંદ્રયાન સ્પીડ મેળવવા માટે ચંદ્રની આસપાસ પરિભ્રમણ કરે છે અને હવે તેની આવશ્યક ઉંચાઈ અને ઝડપ મેળવ્યા પછી લેન્ડિંગ કરાવવામાં આવશે.

પહેલી ઓગસ્ટે ચંદ્રયાન-3ની દિશા બદલીને તેને ચંદ્ર તરફ વાળવામાં આવ્યું હતું. શ્રીહરિકોટાના સ્પેસ સેન્ટર પરથી રવાના થયા પછી ચંદ્રયાન -3 લગભગ 3.84 લાખ કિમીનો પ્રવાસ કરીને ઉતરાણ માટે સજ્જ છે.
17 ઓગસ્ટે એક અત્યંત કઠિન પ્રક્રિયાથી પ્રોપલ્ઝન મોડ્યુલ અને વિક્રમ લેન્ડરને સફળતાપૂર્વક અલગ કરવામાં આવ્યા હતા

લેન્ડિંગ અગાઉ વિક્રમ લેન્ડરને 134 કિમી બાય 25 કિમીની ભ્રમણકક્ષામાં લાવવામાં આવશે અને પછી ધીમે ધીમે યાન નીચે ઉતરશે. ત્યાર પછી બેંગ્લોર સ્થિત કમાન્ડ સેન્ટરની દેખરેખ હેઠળ 25 કિમીની ઉંચાઈ પરથી વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી તરફ જવા લાગશે. આ દરમિયાન આ લેન્ડરની સ્પીડ 1.68 કિમી પ્રતિ સેકન્ડ એટલે કે 6048 કિમી પ્રતિ કલાક હશે. સામાન્ય પેસેન્જર પ્લેનની ઝડપ કરતા આ ઝડપ 10 ગણી વધારે હશે. ત્યાર બાદ વિક્રમ લેન્ડરના તમામ એન્જિન ચાલુ થશે અને તેની ગતિ ઘટાડવામાં આવશે. તે સમયે પણ ચંદ્રની સપાટી સાથે યાન સમાંતર દિશામાં ગતિ કરતું હશે. તેને રફ બ્રેકિંગ ફેઝ કહેવામાં આવે છે જે લગભગ 11 મિનિટ ચાલે છે.

ત્યાર પછી વૈજ્ઞાનિકો વિક્રમ લેન્ડરને વર્ટિકલ દિશામાં નીચે ઉતારશે અને ફાઈન બ્રેકિંગ ફેઝ શરૂ થશે. ચંદ્રયાન -2 વખતે આ તબક્કામાં જ ગરબડ થઈ હતી અને ફાઈન બ્રેકિંગ ફેઝમાં યાનનો કન્ટ્રોલ છુટી ગયો હતો જેના કારણે તેનું ક્રેશ લેન્ડિંગ થયું હતું. ચંદ્રયાન ચંદ્રની સપાટીથી માત્ર 800 મીટર ઉપર હશે ત્યારે હોરિઝોન્ટલ અને વર્ટિકલ ઝડપ શૂન્ય થઈ જશે અને વિક્રમ લેન્ડરના કેમેરા નક્કી કરશે કે ચંદ્ર પર કઈ જગ્યાએ ઉતરાણ કરી શકાય તેમ છે. આ દરમિયાન યાનની ઉંચાઈ ઘટીને 150 મીટર થઈ જશે. ત્યાર બાદ લેન્ડિંગ માટે એકદમ સુરક્ષિત જગ્યા શોધીને વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીને સ્પર્શ કરશે.આ સમયે લેન્ડરના માત્ર બે એન્જિન ચાલુ હશે. આ લેન્ડરના લેગ્સ એવી રીતે ડિઝાઈન કરાયા છે કે તે 10.8 કિમી પ્રતિ કલાકની ઝડપે ચંદ્ર પર આંચકા સાથે ઉતરી શકે છે. ચંદ્ર પર ઉતરતાની સાથે જ તેનું એન્જિન બંધ થઈ જશે અને વૈજ્ઞાનિકો માટે ટેન્શનભરી 20 મિનિટનો અંત આવશે.

LEAVE A REPLY

seven − 4 =