(ANI Photo)

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની 30મેએ રમાયેલી એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સનો મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે 20 રને પરાજ્યો હતો. આ મેચની સાથે ગુજરાત ટાઈટન્સ ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી અને હવે પહેલી જૂને મુંબઈ ઈન્ડિયન્સ ક્વાલિફાયર-2માં પંજાબ કિંગ્સ સાથે ટકરાશે. આ મેચની વિજેતા ટીમ 3 જૂને આઇપીએલની ફાઇનલમાં બેંગલોર સામે ટકરાશે.

આ નિર્ણાયક મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત ટાઇટન્સને જીતવા માટે 229 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. મુંબઈ માટે રોહિત શર્માએ શાનદાર 81 રન બનાવ્યા હતાં. આ ટાર્ગેટનો પીછો કરતાં ગુજરાત ટાઈટન્સની ટીમ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 208 રન જ બનાવી શકી હતી.

ક્વોલિફાયર-2 મેચ 1 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ક્વોલિફાયર-2 મેચની વિજેતા ટીમ ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB) સાથે 3 જૂને ટકરાશે.

મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 5 વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા હતાં. મુંબઈની શરૂઆત શાનદાર રહી હતી. જોની બેયરસ્ટો અને રોહિત શર્માએ પહેલી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી હતી. આર સાઈ કિશોરે જોની બેયરસ્ટોને આઉટ કરી આ ભાગીદારી તોડવામાં સફળતા મેળવી હતી. બેયરસ્ટોએ 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 22 બોલમાં 47 રન બનાવ્યાં હતાં. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ વચ્ચે બીજી વિકેટ માટે 59 રનની ભાગીદારી થઈ હતી. સૂર્યકુમાર 33 રન બનાવીને આર. સાઈ કિશોરનો શિકાર બન્યો. સૂર્યકુમારે પોતાની ઇનિંગમાં ત્રણ છગ્ગા ઉપરાંત એક ચોગ્ગો ફટકાર્યો હતો. સૂર્યકુમાર આઉટ થયા બાદ, રોહિત શર્મા અને તિલક વર્મા વચ્ચે ત્રીજી વિકેટ માટે 43 રનની ભાગીદારી થઈ હતી.

રોહિત શર્માએ 50 બોલમાં 81 રન બનાવ્યા હતાં, જેમાં 9 ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. રોહિત પ્રખ્યાત કૃષ્ણના બોલ પર રાશિદ ખાન દ્વારા કેચ આઉટ થયો. રોહિત પછી, તિલક વર્મા (25 રન) પણ આઉટ થયો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યા (22*)એ છેલ્લી ઓવરમાં ત્રણ છગ્ગા ફટકારી હતી. આર. સાઈ કિશોર અને પ્રખ્યાત કૃષ્ણાએ બે-બે વિકેટ લીધી. મોહમ્મદ સિરાજને પણ સફળતા મળી હતી.

LEAVE A REPLY