
કનિષ્ક બોમ્બ વિસ્ફોટની 40મી વરસીએ કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ પ્રધાન હરદીપ સિંહ પુરી, આઇરિશ વડાપ્રધાન માઇકલ માર્ટિન અને કેનેડાના જાહેર સલામતી પ્રધાન ગેરી આનંદસાંગરીએ આયર્લેન્ડના કોર્કમાં અહાકિસ્તા સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
23 જૂન, 1985ના રોજ એર ઈન્ડિયા ફ્લાઇટ-182ને કેનેડા સ્થિત ખાલિસ્તાની આતંકવાદી જૂથ બબ્બર ખાલસાએ કોર્ક નજીક ઉડાવી દીધું હતું અને તેમાં વિમાનમાં સવાર તમામ 329 મુસાફરોના મોત થયાં હતાં.
આ પ્રસંગે માઇકલ માર્ટિને જણાવ્યું હતું કે આયર્લેન્ડના આકાશમાં 329 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને સમય પસાર થવાથી નુકસાન અને અત્યાચારની યાદ ઓછી થતી નથી. આપણે અહીં સ્મારક પરના ચહેરાઓ જોઈએ છીએ અને વાંચીએ છીએ ત્યારે નુકસાનની ભયાનકનો અનુભવ થાય છે. તેમણે અમદાવાદમાં તાજેતરમાં થયેલી વિમાન દુર્ઘટના અંગે ભારત, યુકે, પોર્ટુગલ અને કેનેડાના લોકો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન કોર્ક કાઉન્ટીના મેયર, કાઉન્સિલર જો કેરોલે કોર્કમાં આ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કનિષ્ક બોમ્બ વિસ્ફોટના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં. સ્મારક ખાતે શાળાના વિદ્યાર્થીઓએ સંગીતમય શ્રદ્ધાંજલિ આપી હતી.
કનિષ્ક આતંકવાદી હુમલામા વરસીએ યોજાયેલા આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે હરદીપ સિંહ પુરીની આગેવાનું હેઠળનું ભારતીય પ્રતિનિધિમંડળ આયર્લેન્ડ આવ્યું હતું. હરદીપ સિંહ પુરીએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે એર ઇન્ડિયા કનિષ્ક બોંબ વિસ્ફોટ ઉડ્ડયન ઇતિહાસમાં સૌથી અમાનવીય આતંકવાદી કૃત્ય છે.
