વિતેલા જમાનાનાં અભિનેત્રી જયા ભાદુરી બચ્ચન ઘણા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે. હવે તેઓ સાત વરસ પછી મોટા પડદે ફરીથી અભિનય કરતા જોવા મળે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમણે એક મરાઠી ફિલ્મમાં કામ કરવાનું સ્વીકાર્યું છે અને તેનું દિગ્દર્શન ગજેન્દ્ર આહિરે કરશે. આ ફિલ્મનું શૂટિંગ ૨૦ દિવસમાં પૂર્ણ કરવાની યોજના છે. જયા બચ્ચને છેલ્લે વર્ષ ૨૦૧૨માં રિતુપર્ણો ઘોષની સનગ્લાસ માટે શૂટિંગ કર્યું હતું. જેમાં તેમણે પ્રથમ વખત નસીરુદ્દીન શાહ સાથે કામ કર્યું હતું. જોકે આ ફિલ્મ રિલીઝ થઇ શકી નથી. પરંતુ હવે તેઓ પાછા અભિનય કરવાના છે. જયા પ્રથમ વખત મરાઠી ફિલ્મમાં કામ કરતા જોવા મળશે. જયા બચ્ચને અમિતાભ સાથે લગ્ન કર્યા પછી બહુ ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે સિલસિલા, કભી ખુશી કભી ગમ, લાગા ચુનરી મેં દાગ અને કલ હો ન હો જેવી ગણતરીની ફિલ્મોમાં કામ કર્યું હતું.












