પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિઘુ (Photo by NARINDER NANU/AFP via Getty Images)

કપિલ શર્માના કોમેડી શોમાં જોવા મળતી અર્ચના પુરન સિંઘનું કહેવું છે કે જો નવજોત સિંહ સિદ્ધુને ‘ધ કપિલ શર્મા શો’માં પાછા આવવું હશે તો તે ખુરશી છોડી દેશે. સિદ્ધુએ રાજકારણમાં જવાનું નક્કી કર્યું ત્યારે તેનું સ્થાન અર્ચનાને મળ્યું હતું. જોકે, હવે પંજાબની વિધાનસભાની ચૂંટણીમાં સિદ્ધુની હાર થતાં હવે તે ફરી શોમાં આવી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર આ વાતને લઈને ઘણાં મીમ્સ પણ બની રહ્યાં છે.

આ વિશે પૂછતાં અર્ચનાએ કહ્યું હતું કે ‘આ બધાં મીમ્સથી મને કોઈ અસર નથી થતી, કારણ કે મારા માટે આ બધું કંઈ નવું નથી. જોકે મને એ જાણીને નવાઈ લાગે છે કે જે વ્યક્તિએ શો છોડી દીધો અને રાજકારણમાં જોડાયો તે હજુ પણ કેવી રીતે આ શો સાથે કનેક્ટ રહી શકે. હું ક્યારેય રાજકારણમાં નથી ગઈ. આ શોમાં મારો એક રોલ છે અને એને હું ખૂબ જ સારી રીતે ભજવી રહી છું, પરંતુ જ્યારે પણ સિદ્ધુ સાથે કંઈ થાય ત્યારે મારા પર મીમ્સ બનવાનું શરૂ થઈ જાય છે. જોકે સોશિયલ મીડિયા પર લોકો એવી રીતે વર્તન કરી રહ્યા છે કે મારી પાસે જાણે આ જ એક કામ હોય. સિદ્ધુ આ શોમાં આવવાનું નક્કી કરે અથવા તો ચેનલ અથવા તો પ્રોડ્યુસર તેને ફરી બોલાવવા ઇચ્છે તો હું ખુરશી છોડી દઈશ અને હું નવું કામ શોધી લઈશ.’