કાશ્મીરના પૂંચ જિલ્લામાં શનિવાર, 16 ઓક્ટોબરે લશ્કરી દળોએ ત્રાસવાદીઓના સફાયાનો અભિયાન ચાલુ કર્યું હતું. નાર ખાસ જંગલ વિસ્તારમાં ત્રાસવાદીઓ સાથેના એન્કાઉટર દરમિયાન સુરક્ષા જવાનો સજ્જ બન્યાં હતા. (PTI Photo)

છેલ્લા એક મહિનામાં કાશ્મીરમાં ત્રાસવાદીઓ દ્વારા નિર્દોષ નાગરિકોની હત્યામાં વધારો થયો છે. કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓએ શનિવારે બિનકાશ્મીરી લોકોને નિશાન બનાવી તેમને ગોળી મારીને હત્યા કરી હતી આતંકવાદીઓએ શ્રીનગરના ઈદગા વિસ્તારમાં એક પકોડી વેચનારની ગોળી મારીને હત્યા કરી હતી.  પુલવામામાં ઉત્તર પ્રદેશના રહેવાસી સાગીર અહેમદની પણ ગોળી મારીને હત્યા કરી હતી. આ મહિનામાં આતંકીઓએ 8 નાગરિકોની હત્યા કરી છે. જેમાંથી 5 લઘુમતી સમાજના છે.

કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યું કે, અરવિંદકુમાર શાહ કે જે બાંકા જિલ્લાનો છે, તેને શ્રીનગરના ઈદગા વિસ્તારમાં પાર્કની બહાર ગોળી મારવામાં આવી હતી. જ્યારે સહારનપુરના સગીર અહેમદને પુલવામામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અહેમદને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પણ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કાશ્મીર ઘાટીમાં નાગિરકોની હત્યા બાદ સુરક્ષા જવાનો દ્વારા પણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. અને અત્યાર સુધી 9 અથડામણમાં 13 આતંકીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત આઈજીપી વિજય કુમારે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં શ્રીનગરમાં 5માંથી 3 આતંકીઓને ઠાર માર્યા છે.

કાશ્મીરમાં બિનકાશ્મીરી લોકો પર આ મહિના પર બીજો હુમલો છે. અને આ હુમલો ત્યારે કરવામાં આવ્યો છે કે જ્યારે હાલમાં જ પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, અગાઉના હત્યાકાંડમાં સામેલ આતંકવાદીને ઠાર મરાયો હતો. 5 ઓક્ટોબરે શ્રીનગરમાં બિહારના એક રહેવાસી અને લારી ચલાવતાં વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં કુલગામના નેહામા વિસ્તારમાં આતંકીઓએ બિહારના એક મજૂરની હત્યા કરી દીધી હતી.

આ મહિનામાં આતંકીઓએ 8 નાગરિકોની હત્યા કરી દીધી છે. જેમાંથી 5 લઘુમતી સમાજના છે અન 6 હત્યાઓ શ્રીનગરમાં કરવામાં આવી છે. ગત અઠવાડિયે શ્રીનગરના એક સરકારી સ્કૂલની અંદક મહિલા પ્રિન્સિપાલ અને એક શિક્ષકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. પ્રમુખ કાશ્મીરી પંડિત અને શ્રીનગરના સૌથી પ્રખ્યાત દવાની દુકાનના માલિક માખણલાલ બિંદુની પણ ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. સત્તાવાર આંકડાઓ અનુસાર અત્યાર સુધી કુલ 30 નાગરિકોની આતંકવાદીઓએ હત્યા કરી છે.