(Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા લાલ દરવાજા બસ સ્ટેશનની કાયાપલટ થશે. લગભગ 65 વર્ષ જૂના આ બસ સ્ટેન્ડને હેરિટેજ લુક આપી નવીનીકરણ કરવામાં આવશે. લાલ દરવાજા બસ સ્ટેન્ડની આસપાસ ઐતિહાસિક ઇમારતો આવેલી છે. જેથી દિલ્લીથી આર્કિયોલોજી વિભાગ પાસેથી મંજૂરી સહિત અન્ય પ્રક્રિયામાં મેળવવામાં 2 વર્ષ જેટલો સમય લાગ્યો છે. પરંતુ હવે તે દૂર થતાં આગામી સમયમાં નવા હેરિટેજ લુક સાથે લાલ દરવાજા બસ સ્ટોપના નવીનીકરણની કામગીરી શરૂ થશે અને 2022ના અંત સુધીમાં બનીને અમદાવાદીઓને માટે શરૂ કરી દેવામાં આવશે.

અમદાવાદ શહેરની આગવી ઓળખ ગણાતું લાલ દરવાજા બસ સ્ટોપનું નવીનીકરણ કરી AMTS બસ સ્ટોપની રૂપરેખા બદલાશે. આ માટે 6.5 કરોડના ખર્ચે 11,583 સ્કવેરમીટરમાં બસ સ્ટોપ બનશે. જેને વર્ષ 2022 સુધીમાં અત્યાધુનિક લાલદરવાજા બસ સ્ટોપ બનાવાશે. આ બસ સ્ટોપ હેરીટેજ લૂક સાથે તૈયાર થશે. જેમા ટર્મિનલ ઓફિસ, કેશ કેબીન, ટિકિટ ઇસ્યુ સેન્ટર, સ્ટાફ માટે પણ સુવિધા ઉભી કરાશે.