વોરીકશાયરના લેમિંગ્ટન સ્પામાં આવેલા 30 વર્ષ જૂના હિન્દુ મંદિર – શ્રી કૃષ્ણ મંદિરમાં પધરાવાયેલી દેવી દેવતાઓની 12 મૂર્તિઓના વિસર્જન માટે ડોર્સેટના વેમથ ખાડીને પસંદ કરવામાં આવ્યું છે. જ્યાં પારંપરિક અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. લેમિંગ્ટન સ્પામાં આવેલા શ્રી કૃષ્ણ મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવી રહ્યો છે.
મંદિરનાં અધ્યક્ષ ધરમ અવસ્થીએ જણાવ્યું હતું કે ‘’જો મંજૂરી મળે, તો આ કાર્યક્રમ સપ્ટેમ્બરમાં યોજાશે. દેવી દેવતાઓની ૧૨ પ્રતિમાઓમાંથી પાંચ માનવ કદની છે અને દરેકનું વજન ૮૦૦ કિલો છે. તેમને લોરી દ્વારા લેમિંગ્ટન સ્પાથી વેમથ લઈ જવામાં આવશે. મૂર્તિઓને ક્રેન દ્વારા બાર્જ પર મૂકી બાર્જને દરિયામાં લઇ જઇ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે.’’
શ્રી અવસ્થીએ કહ્યું હતું કે “ખંડિત મુર્તિઓને નવા મંદિરમાં સ્થાપી શકાય તેમ ન હોવાથી વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ભક્તો નવી મૂર્તિઓનો ખર્ચ ઉઠાવી રહ્યા છે અને તે ભારતમથી આવી રહી છે. આરસપહાણની બનેલી મૂર્તિઓ થકી પાણીની ઇકોસિસ્ટમ અથવા દરિયાઈ જીવન પર કોઈ અસર કરશે નહીં અને તેમને વસ્ત્રો વગર મૂળ આકાર અને સ્વરૂપમાં જ વિસર્જીત કરાશે.”
મરીન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન (MMO) ના પ્રવક્તાએ કહ્યું હતું કે “વેમથ ખાડીમાં હિન્દુ મૂર્તિઓના વિસર્જન માટેની મરીન લાઇસન્સિંગ અરજી પર લાઇસન્સિંગ પ્રક્રિયાના ભાગ રૂપે જાહેર પરામર્શ કરાશે જે 22 જૂન સુધી ચાલશે. તે પછી અમે અમે નિર્ણય લેતા પહેલા સંબંધિત લોકો અને પ્રતિભાવો પર વિચાર કરીશું.”
